crime
સુરતમાં પોલીસની ઘોર બેદરકારી:આર્મી જવાનના ગુમ થયેલા ભાઈનો મૃતદેહ 14 દિવસે મળ્યો, ભેસ્તાન પોલીસની ઢીલી નીતિ સામે રોષ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી મિલમાંથી નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતી વખતે રહસ્યમય રીતે ગુમ થયેલા 40 વર્ષીય સંજીવ કુમાર સિંહનો મૃતદેહ 14 દિવસ બાદ અત્યંત ખરાબ હાલતમાં મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત મુજબ, 29 તારીખથી ગુમ થયેલા સંજીવ કુમાર ઘરે ન પહોંચતા પરિવારે શોધોખોળ શરૂ કરી હતી. જોકે, સ્થાનિક ભેસ્તાન પોલીસે શરૂઆતમાં '24 કલાક પૂરા નથી થયા' તેમ કહીને ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને પરિવારે ધક્કા ખાવા મજબૂર બનવું પડ્યું હતું. પોલીસની ટાળમટોળ અને પીડિત પરિવારની પજવણી જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા મૃતકના ભાઈ રાજીવ કુમારે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ૨૪ કલાક વિતી ગયા પછી પણ પોલીસે ગુમશુદા રિપોર્ટ નોંધવામાં આનાકાની કરી હતી અને તમામ જરૂરી કાગળો હોવા છતાં પીડિત મહિલાને જ '૫ માણસો શોધી લાવવાનું' કહીને હેરાન કરવામાં આવી હતી. આખરે પરિવારના દબાણ બાદ 31 તારીખે ગુમ થયાની નોંધ લેવામાં આવી હતી, પરંતુ પોલીસે આસપાસના વિસ્તારમાં પ્રાથમિક તપાસ કે સીસીટીવી ચકાસવાની તસ્દી પણ લીધી નહોતી. સરહદ પરથી સુરત આવેલા સૈનિક ભાઈએ જાતે જ શોધ્યો મૃતદેહ પોલીસની ઢીલી કામગીરીથી અસંતુષ્ટ થઈને અસમ રાઇફલ્સમાં ફરજ બજાવતા નાના ભાઈ (આર્મી જવાન) ૭ તારીખે સુરત પહોંચ્યા હતા અને જાતે જ તપાસ શરૂ કરી હતી. ભેસ્તાન પોલીસ ચોકીથી માત્ર 1.8 કિલોમીટર દૂર આવેલી ઉન પાટિયા પોલીસ ચોકી પહોંચતા જ ગેટ પર સંજીવ કુમારનો ફોટો અને પોસ્ટર જોવા મળ્યા હતા. ત્યાં પીઆઈ/પીએસઆઈ સાથે વાત કરતા જાણવા મળ્યું કે સંજીવ કુમારનો અકસ્માતમાં મૃતદેહ તો 29 તારીખે જ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. બે પોલીસ ચોકી વચ્ચે સંકલનનો અભાવ ભેસ્તાન અને ઉન પાટિયા પોલીસ ચોકી વચ્ચે માત્ર 1.5 થી 1.8 કિલોમીટરનું જ અંતર છે અને બંનેનો વહીવટી ઇનચાર્જ પણ એક જ હોવા છતાં, 14 દિવસ સુધી પરિવારને મૃતદેહ અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી. જો બંને ચોકી વચ્ચે યોગ્ય સંકલન હોત તો 29 કે 30 તારીખે જ પરિવારને મૃતદેહ સોંપી શકાયો હોત. 14 દિવસ બાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાંથી અત્યંત વિકૃત હાલતમાં મૃતદેહ મળતા પરિવારજનો પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું. 'દેશના રક્ષક સાથે આવો વ્યવહાર તો સામાન્ય જનતાનું શું?' પોલીસની આવી શરમજનક અને બેદરકાર કામગીરી સામે રોષ વ્યક્ત કરતા આર્મી જવાન રાજીવ કુમારે સવાલ ઉઠાવ્યો હતો કે, "જો દેશની સરહદ પર તૈનાત સૈનિકના પરિવાર સાથે પોલીસ આવું વલણ અપનાવતી હોય તો સામાન્ય નાગરિકોનું શું થતું હશે?" તેમણે ઉમેર્યું હતું કે સુરતમાં દેશભરમાંથી લોકો રોજી-રોટી માટે આવે છે, ત્યારે આવી અન્યાયી નીતિ ચલાવી લેવાય નહીં. પરિવારે આ સમગ્ર મામલો રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીને જવાબદાર અને દોષિત પોલીસકર્મીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Read full article on Divya Bhaskar