politics
આવાસ ફાળવણીમાં ગેરરીતિની આશંકા !:રાજકોટમાં 163 આવાસોનો 3 સપ્ટેમ્બરે કરાયેલો ડ્રો રદ્દ કરવા મેયરનો હુકમ, ભાજપનાં મહિલા કોર્પોરેટર પાસે સંયુક્ત નામે આવાસ હોવાનું ખુલ્યું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરી માસમાં જંગલેશ્ર્વર અને આજીનદી કાંઠા સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનના 42 અસરગ્રસ્તો સહિત અલગ અલગ વિસ્તારોના વિસ્થાપિતોને આવાસ આપવાની યોજના અંતર્ગત ગત તા. 3 સપ્ટેમ્બરે અલગ અલગ વિસ્તારોમાં 163 આવાસની ફાળવણી કરાયા બાદ આ ફાળવણીમાં વિસંગગતા જણાતા મેયર ડો. નેહલ શુકલએ તમામ આાવાસોની ફાળવણી રદ કરવાનો હુકમ કર્યો છે. બીજી તરફ ભાજપનાં વોર્ડ નં.6ના ભાજપના કોર્પોરેરટર ધર્મિષ્ઠાબેન પરમારે આવાસ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે તેઓએ આ આવાસ કોર્પોરેટર બન્યા પૂર્વે લીધું હોવાનો બચાવ ર્ક્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાપાલિકા દ્વારા ફેબ્રુઆરી માસમાં જંગલેશ્ર્વર અને આજીનદી વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તેના વિસ્થાપિતોને આવાસ ફાળવણી કરવાની બાકી હતી. આથી ગત તા. 3 સપ્ટેમ્બરે ડ્રો કરીને જંગલેશ્ર્વર ઉપરાંત સાગરનગર, બેટ દ્વારકા અને લલુડી વોંકળી વિસ્તારના વિસ્થાપિત લાભાર્થીઓને સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનામાં વીંગ ઇ એફ અને જી, તેમજ ગોકુલનગરમાં જ આવેલી રવિશંકર મહારાજ આવાસ યોજનામાં વીંગ એ અને બી તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં વીર તાત્યા ટોપે ટાઉનશીપમાં આવાસની ફાળવણી કરવામાં આવી હતી. સાગરનગર ફેઝ-1 બેટદ્વારકા અને સાગરનગર ફેઝ 2ના કુલ 27 લાભાર્થીઓ, જંગલેશ્ર્વરના કુલ 42 લાભાર્થીઓ અને લલુડી વોંકળીના કુલ 94 લાભાર્થીઓના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી. આમાં લલુડી વોંકળી વિસ્તારના 44 લાભાર્થીઓને વીર તાત્યા ટોપે ટાઉનશીપ (સ્માર્ટઘર- 4)માં આવાસ ફાળવવામાં આવ્યા હતા. આ સહિત અલગ અલગ વિસ્તારોના 163 લાભાર્થીઓને સાદગીપુર્ણ ડ્રો કરી આવાસની ફાળવણી કરી દેવામાં આવી હતી. જો કે આ ડ્રો માત્ર નાટક પુરતો જ હોવાની ફરિયાદો મેયર ડો. નેહલ શુકલને મળી હતી. મેયર દ્વારા આ અંગે કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કેટલીક વિસંગતતા સામે આવી હતી. જેને લઈ તેમણે આવાસ ફાળવણીનો આ ડ્રો રદ કરવાનો આદેશ કરતાં મહાનગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે. મેયર ડો. નેહલ શુકલે એક બે આવાસોને બદલે તમામ 163 આવાસોનો આખો ડ્રો જ રદ કરવાનો હુકમ કરતાં ભાજપના કોર્પોરેટરોમાં સહિત અધિકારીઓમાં પણ સોપો પડી ગયો છે. બીજીતરફ ભાજપના વોર્ડ નં.6ના કોર્પોરેટરે આવાસ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબને પરમારની પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે વર્ષ 2014માં જ્યારે પોતે કોર્પોરેટર નહોતા એ સમયે આ આવાસ લાગ્યું હોવાનો બચાવ કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, મારા પતિ ખાનગી નોકરી કરે છે. જે-તે સમયે અમારી પાસે રહેઠાણ નહીં હોવાથી નિયમ મુજબ આવાસ માટે અરજી કરતા આ આવાસ લાગ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધર્મિષ્ઠાબેન પરમારે ચૂંટણી ઉમેદવારી પત્ર ભર્યું એ સમયે તેઓ સોગંદનામામાં દોઢ લાખ રૂપિયાની રોકડ, બે લાખનું મચ્યુઅલ ફંડમાં રોકાણ, રૂ. 33 લાખની કિંમતના બાવીસ તોલા ઝવેરાત, મોરબીના મકનસર ગામે સંયુક્ત નામે જમીન, પતિ પાસે માધાપર ગામે સંયુક્ત નામે ફ્લેટ અને શહેરનાં કાલાવડ રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર હોવાનું જાહેર ર્ક્યું હતું.
Read full article on Divya Bhaskar