top
22 દિવસથી હડતાળ પર તળાજા-મહુવાના રત્નકલાકારો, CMને રજૂઆત:‘લઘુતમ વેતન, લેબર કાયદાના લાભ સહિતના મુદ્દે વિભાગોને સૂચના આપવાનું આશ્વાસન, આગેવાનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ
તળાજા અને મહુવા વિસ્તારના રત્નકલાકારોના ભાવ વધારાના મુદ્દે ચાલી રહેલી હડતાળ વચ્ચે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા હતા. યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી રત્નકલાકારોની વિવિધ માગણીઓ અને હાલની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. યુનિયનના જણાવ્યા પ્રમાણે તળાજા અને મહુવાના રત્નકલાકારો 22 દિવસ કરતાં વધુ સમયથી હડતાળ પર છે અને તેમની મુખ્ય માગણી કામના ભાવમાં વધારો કરવાની છે. ‘લઘુતમ વેતન મુજબ પગાર મળવો જોઈએ’ મુખ્યમંત્રી સાથેની મુલાકાત અંગે ભાવેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, રત્નકલાકારોને લઘુતમ વેતન મુજબ પગાર મળવો જોઈએ, સાથે મોંઘવારીને અનુરૂપ તેમના કામના ભાવમાં પણ વધારો થવો જોઈએ. આ ઉપરાંત લેબર કાયદા હેઠળ રત્નકલાકારોને મળવાપાત્ર લાભો પણ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. યુનિયનના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીએ રત્નકલાકારોની સમસ્યા અંગે હકારાત્મક અભિગમ દાખવી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવાનું આશ્વાસન આપ્યું છે. લેબર વિભાગની બેઠકમાં શું થયું? યુનિયનનો આક્ષેપ છે કે ભાવનગરમાં લેબર ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કારખાનેદારો તરફથી કાયદાનું પાલન નહીં કરીએ અને રત્નકલાકારોના કામના ભાવમાં વધારો નહીં કરીએ તેવી ભૂમિકા લેવામાં આવી હોવાનો યુનિયનનો દાવો છે. યુનિયનના આગેવાનોનું કહેવું છે કે જો રત્નકલાકારોને કાયદા મુજબના હક્કો અને યોગ્ય મહેનતાણું ન મળે તો તેમની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે તે મોટો પ્રશ્ન છે. ‘સરકાર કાયદાનું પાલન નહીં કરાવવાની સ્થિતિ થવા નહીં દે’ ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું છે કે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. રત્નકલાકારોની વેદના અને તેમની માગણીઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી છે અને સરકાર તરફથી સંબંધિત વિભાગોને સૂચના આપવાનું આશ્વાસન મળ્યું છે. યુનિયને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડત કાયદાકીય રીતે ચાલુ રહેશે અને રત્નકલાકારોના હિત માટે તેઓ પીછેહઠ કરશે નહીં. આગેવાનોને ફોન કરી કારખાના શરૂ કરાવવા દબાણનો આક્ષેપ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલાક કારખાનેદારો દ્વારા યુનિયનના આગેવાનોને વારંવાર ફોન કરવામાં આવે છે અને કારખાના શરૂ કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. જોકે યુનિયનનું કહેવું છે કે રત્નકલાકારોની લડાઈ કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ તેમના કાયદેસરના હક્કો અને યોગ્ય ભાવ માટેની છે. પોલીસને પણ ધ્યાન આપવા યુનિયનની માગ યુનિયને એવો પણ આક્ષેપ કર્યો છે કે આગેવાનોને ફોન કરી હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ મામલે ગુજરાત પોલીસને પણ ખાસ ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે જો રત્નકલાકારો અને તેમના આગેવાનો કાયદા મુજબ પોતાની માગણીઓ માટે લડત ચલાવી રહ્યા હોય તો તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ ન થવું જોઈએ.
Read full article on Divya Bhaskar