crime
અમરેલીમાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ:23 એકમોમાં તપાસ કરાઈ, રૂ. 2,690ની કિંમતનો વિવિધ ખાદ્ય જથ્થો નાશ કરાયો
અમરેલી શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 19 ઓગસ્ટ, 2026ના રોજ અમરેલી નગરપાલિકા વિસ્તારના લાઠી રોડ, નવા બસ સ્ટેશન સામે અને કેરીયા રોડ વિસ્તારમાં ફરાસણ, ફાસ્ટ ફૂડ સહિત કુલ 23 ફૂડ બિઝનેસ ઓપરેટરોની તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન આશરે 10.5 કિલોગ્રામ ફરસાણ, 1 પેકેટ બ્રેડ અને 5 પાઉં પેકેટ સહિત કુલ રૂ. 2,690ની કિંમતનો ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. તપાસ દરમિયાન, તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તેમના પરિસરમાં સ્વચ્છતા જાળવવા અને હાઈજિનના નિયમોનું પાલન કરવા માટે જરૂરી સૂચનાઓ અપાઈ હતી. પેપરમાં કોઈપણ ખાદ્ય પદાર્થનું પેકિંગ ન કરવા પણ તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત, 6 ઓગસ્ટ, 2025થી 13 ઓગસ્ટ, 2025 દરમિયાન જિલ્લામાં પ્રતિબંધિત એનાલોગ પનીર અંગે પણ વિશેષ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. કુલ 48 એકમોની તપાસ કરાઈ હતી. આ તપાસ દરમિયાન અંદાજે 51.4 કિલોગ્રામ પ્રતિબંધિત એનાલોગ પનીર મળી આવ્યું હતું, જેની કિંમત આશરે રૂ. 18,685 હતી. આ જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં, જિલ્લાની 2 પેઢીઓના એનાલોગ પનીર બનાવટના પરવાના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, અમરેલી શહેર સિવાય સાવરકુંડલા, રાજુલા સહિતના અન્ય તાલુકા મથકોએ આજ સુધી આવી કોઈ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar