politics
વડનગરથી વારાણસી ભાજપની ‘સેવા સંકલ્પ’ બાઈક યાત્રા:4 પવિત્ર સ્થળેથી 250 બાઈક પર 500 કાર્યકર્તા જોડાશે, જાણો સમગ્ર યાત્રાનો રૂટ
PM નરેન્દ્ર મોદીના જાહેરજીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને અનુલક્ષીને ગુજરાત ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ બાઈક યાત્રા યોજાશે. તેના અનુસંધાને રાજ્યના ચાર પવિત્ર સ્થળો સોમનાથ, ઉનાઈ માતા મંદિર, શામળાજી અને પાવાગઢથી 13 સપ્ટેમ્બરે પવિત્ર જળ સાથે ચાર બાઈક યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ચારેય યાત્રામાં 250 બાઈક પર કુલ 500 ભાજપ કાર્યકર્તાઓ ચાર ટુકડીમાં જોડાયા છે. વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પસાર થતી આ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ નાગરિકો સાથે સંવાદ કરશે. પ્રદેશ ભાજપના પદાધિકારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને આગેવાનો પણ અલગ-અલગ તબક્કે યાત્રામાં જોડાશે. 16 સપ્ટેમ્બરે ચારેય યાત્રા વડનગર પહોંચશે સોમનાથ, ઉનાઈ માતા મંદિર, શામળાજી અને પાવાગઢથી નીકળેલી ચારેય યાત્રા અલગ-અલગ રૂટ પરથી પસાર થઈને 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. યાત્રાના માર્ગમાં વિવિધ સ્થળોએ સ્વાગત કાર્યક્રમો, ગ્રામસભાઓ અને નાગરિકો સાથે સંવાદના કાર્યક્રમો યોજાશે. ભાજપનો દાવો છે કે આ માધ્યમથી વડાપ્રધાન મોદીના 25 વર્ષના સેવાકાળ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવામાં આવશે. સોમનાથથી નીકળેલી યાત્રા અહિંયાથી પસાર થશે સોમનાથથી નીકળેલી યાત્રા કીડીવાવ, કેશોદ, જૂનાગઢ, વડાલ, વીરપુર થઈ ગોંડલ પહોંચશે. ત્યારબાદ આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ અને તરગડા થઈ સારંગપુર જશે. 15 સપ્ટેમ્બરે સારંગપુરથી બરવાળા, ધંધુકા, ધોળકા અને સરોડા થઈ પીરાણા પહોંચશે. અંતિમ દિવસે પીરાણા, તેલવ, સાણંદ, ખોડા, બેચરાજી, મહેસાણા અને સાવલા થઈ વડનગર પહોંચશે. ઉનાઈ માતા મંદિરથી યાત્રા વડનગર પહોંચશે ઉનાઈ માતા મંદિરથી શરૂ થયેલી યાત્રા ડોલવણ, વ્યારા, સોનગઢ, માંડવી સહિતના વિસ્તારોમાંથી પસાર થશે. 14 સપ્ટેમ્બરે ઝંખવાવ, નેત્રંગ, રાજપીપળા અને કેવડિયા થઈ સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચશે. 15મીએ તિલકવાડા, ડભોઈ, વાસંદ અને ચીખોદરા થઈ વડતાલ પહોંચશે. 16મીએ વડતાલથી જેતલપુર, અડાલજ, સઈજ, માણસા, કડા અને વિસનગર થઈ વડનગર પહોંચશે. શામળાજીથી નીકળેલી યાત્રા અહિંયાથી પસાર થશે શામળાજીથી શરૂ થયેલી યાત્રા ભિલોડા, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા થઈ અંબાજી પહોંચશે. ત્યારબાદ પાલનપુર, ડીસા, લાખણી થઈ થરાદ જશે. થરાદથી રાધનપુર અને અન્ય વિસ્તારો થઈ પાટણ પહોંચશે. અંતિમ દિવસે પાટણથી સિદ્ધપુર, બ્રાહ્મણવાડા, કાંસા અને વિસનગર થઈ વડનગર પહોંચશે. પાવાગઢથી નીકળેલી યાત્રા અહિંયાથી પસાર થશે પાવાગઢથી શરૂ થયેલી યાત્રા હાલોલ, કાલોલ, ગોધરા, સેવાલિયા, બાલાસિનોર અને ઠાસરા થઈ ડાકોર પહોંચશે. ત્યારબાદ ઉમરેઠ, આણંદ, વિદ્યાનગર, કરમસદ, નડિયાદ, મહુધા અને કઠલાલ થઈ કપડવંજ પહોંચશે. 15 સપ્ટેમ્બરે બાયડ, ધનસુરા, મોડાસા, પ્રાંતિજ થઈ હિંમતનગર પહોંચશે. 16મીએ હિંમતનગરથી દેરોલ અને વિજાપુર થઈ વિસનગર પહોંચ્યા બાદ બપોરે 3 વાગ્યે વડનગર પહોંચશે. વડનગરમાં હાટકેશ્વર મહાદેવને જળાભિષેક કરાશે ચારેય યાત્રાઓ વડનગર પહોંચ્યા બાદ ચારેય પવિત્ર સ્થળેથી લાવવામાં આવેલું જળ વડનગરની ઐતિહાસિક ધરતી પર પહોંચશે. આ જળના એક ભાગથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે, જ્યારે બીજો ભાગ શર્મિષ્ઠા તળાવમાં અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને 250 બાઈક સાથે 500 ભાજપ કાર્યકર્તાઓ વડનગરથી વારાણસી તરફ રવાના થશે. આ યાત્રા વારાણસી પહોંચ્યા બાદ કાશી વિશ્વનાથ મહાદેવને પવિત્ર જળથી જળાભિષેક કરવામાં આવશે. ભાજપે આ યાત્રાને સેવા, સંગઠન, જનસંપર્ક ઉપરાંત આધ્યાત્મિક અને ભાવનાત્મક જોડાણના અભિયાન તરીકે રજૂ કરી છે.
Read full article on Divya Bhaskar