ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar Liquor Tragedy: ભાવનગરમાં નકલી (ડુપ્લિકેટ) દારૂ પીવાને કારણે સર્જાયેલા લઠ્ઠાકાંડે ભારે હાહાકાર મચાવ્યો છે. દારૂ પીધા પછી 22 જેટલા લોકોની તબિયત લથડી હતી, જેમાંથી 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 18 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનામાં આજે સવારે વધુ એક શંકાસ્પદ મોત નોંધાયું છે. ઘોઘા રોડ પર રહેતા અને ભાવનગરમાં પીએમ ઈ-બસ સેવામાં નોકરી કરતા કનકસિંહ ગોહિલ નામના વ્યક્તિનું મોત થતાં પરિવારમાં ભારે રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતકના પરિજનોએ પોતાનો આક્રોશ ઠાલવતા સ્પષ્ટ કહ્યું છે કે, "રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. આ દારૂબંધીના નામે માત્ર ભ્રષ્ટ લોકોના ખિસ્સા ભરાય છે અને ભ્રષ્ટાચાર વધ્યો છે, જેના કારણે કેટલાય નિર્દોષ પરિવારો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે." જોકે, આ ગંભીર મામલે પોલીસે તાત્કાલિક એક્શન લેતાં 4 બુટલેગરોની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં, 'રોયલ સ્ટેગ' ન પીવા ચેતવણી
પોલીસની પ્રાથમિક તપાસમાં એક મોટી આશંકા સેવાઈ રહી છે કે આ જીવલેણ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ગ્રામ્યના રૂટ પરથી ભાવનગર પહોંચ્યો છે અથવા તો અમદાવાદ ગ્રામ્યના કોઈ ગામમાં આ નકલી દારૂ પહોંચ્યો હોઈ શકે છે. આ શંકાને પગલે અમદાવાદ જિલ્લા પોલીસ પૂરેપૂરી એલર્ટ થઈ ગઈ છે.
પોલીસે ખાસ કરીને એક એડવાઈઝરી જાહેર કરી છે કે, કોઈએ પણ "રોયલ સ્ટેગ" (Royal Stag) નામની બ્રાન્ડના વિદેશી દારૂનું બિલકુલ સેવન ન કરવું. આ દારૂ નકલી અને જીવલેણ સાબિત થઈ શકે છે.
800 પોલીસકર્મીઓનું રાતભર કોમ્બિંગ અને 300થી વધુ કેસ
ભાવનગરની ઘટનાના પડઘા પડતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ મોડી રાતથી જ એક્શન મોડમાં આવી ગઈ હતી. 800 જેટલા પોલીસ જવાનોએ આખી રાત જાગીને અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ કર્યું હતું. આખી રાતથી લઈને સવારના 8 વાગ્યા સુધી ચાલેલા આ મેગા ઓપરેશનમાં દારૂના 300 થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મોડી રાતથી અત્યાર સુધીમાં જ 177 જેટલા નવા કેસ નોંધાયા છે.
જિલ્લામાં આજ સુધી પ્રોહિબિશનના જેટલા પણ કેસ થયા છે, તે તમામ જૂના આરોપીઓની પણ પોલીસે તપાસ કરી છે અને તેઓને કડક ચેતવણી આપી દેવામાં આવી છે.
સરપંચો સાથે મીટિંગ અને 500 ગામડાઓમાં ચેકિંગની તૈયારી
આ મામલાની ગંભીરતા જોતાં પોલીસે અમદાવાદ ગ્રામ્યના તમામ સરપંચો સાથે તાકીદની મીટિંગો શરૂ કરી દીધી છે. પોલીસ દ્વારા સરપંચો અને ગ્રામજનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે:
જો ગામમાં કોઈએ દારૂ પીધો હોય અને તેની તબિયત બગડી હોય, તો તરત જ પોલીસને જાણ કરવી.
જો ગામમાં ક્યાંય પણ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોય કે કોઈ પણ પ્રકારની બાતમી હોય, તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
હવે પોલીસની અલગ-અલગ ટીમો અમદાવાદ જિલ્લાના 500 જેટલા ગામડાઓમાં રૂબરૂ પહોંચીને ઝીણવટભર્યું ચેકિંગ કરશે, જેથી વધુ કોઈ જાનહાનિ અટકાવી શકાય.