crime
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ભારે પડી:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે જય રામનાથ, હરેકૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ ચાઇનીઝને સીલ કરી, 47 સ્થળે ચેકીંગ કરી 50 કિલો વાસી ખોરાકનો નાશ
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી અને અન્ય ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમો પર વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ગંભીર બેદરકારી, અખાદ્ય સામગ્રી અને ગંદકી જણાતા 'જય રામનાથ ચાઇનીઝ પંજાબી', 'હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ', 'ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ' અને 'એન્જલ ચાઇનીઝ પંજાબી' એમ કુલ 04 પેઢીઓને સીલ કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમે શહેરમાં ફરાળી વાનગીઓમાં વપરાતી સામગ્રી, જેવી કે સ્ટાર્ચ-ફરાળી અને અન્ય ફરાળી રો-મટિરિયલ ગુણવત્તાયુક્ત હોય તે સુનિશ્ચિત કરવા અર્થે કુલ મળીને 47 વેપારી એકમોની સઘન તપાસ કરી 50 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી અને અન્ય ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન વિવિધ સ્થળોએથી આરોગ્ય માટે હાનિકારક અને વાસી એવા કુલ 50 કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તો નિયમોનું ઉલ્લંઘન કરનાર 5 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. વહીવટી કાર્યવાહીના ભાગરૂપે કસૂરવારો પાસેથી કુલ રૂ. 17,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત ખાદ્યપદાર્થોની ચકાસણી અર્થે 4 ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સીલ કરાયેલી પેઢીઓની વિગતોમાં કોઠારીયા રોડ પર આવેલ જય રામનાથ ચાઇનીઝ પંજાબીમાંથી 13 કિલો વાસી મંચૂરિયન અને પ્રિપેર્ડ ફૂડનો નાશ કરી રૂ. 3000 દંડ વસૂલાયો હતો. કવિ નાનાલાલ માર્ગ પરની હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલમાંથી અમાન્ય ફૂડ કલર અને 8 કિલો વાસી ખોરાક મળી આવતા રૂ. 3000 દંડ કરાયો હતો. યુનિવર્સિટી રોડ પર આવેલ ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટમાંથી પ્રતિબંધિત ફૂડ કલર અને 11 કિલો વાસી ગ્રેવી તથા પાઉંભાજીનો નાશ કરી રૂ. 5000 ચાર્જ વસૂલાયો હતો. તેમજ યુનિવર્સિટી રોડ પરની એન્જલ ચાઇનીઝ પંજાબીમાંથી પણ પ્રતિબંધિત કલર, 18 કિલો વાસી ખોરાક અને સડેલા શાકભાજી મળી આવતા રૂ. 5000નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. એટલું જ નહીં આ તમામ પેઢીને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પંચવટી રોડ પર સ્થિત સમૃદ્ધ ડેરી ફાર્મમાંથી પનીર, એસ્ટ્રોન ચોક ખાતેના કૈલાશ ફરસાણમાંથી ફરાળી પેટીસ, મહેશ વિજય ડેરી ફાર્મમાંથી પનીર તેમજ અમીન માર્ગ પરના શ્રી હરી ફરાળમાંથી ફરાળી પેટીસના નમૂના લેવાયા હતા. જ્યારે નાનામૌવા રોડ ઉપર આવેલ પટેલ ડેરી ફાર્મ પાસે લાયસન્સ ન હોવાથી નોટિસ આપી રૂ. 1000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે બાલાજી ઘુઘરા, અતુલ બેકરી, પાયલ ડેરી ફાર્મ, ભવાની ગાંઠિયા, સિયારામ સ્વીટ, બિકાનેર સ્વીટ માર્ટ, ખોડીયાર રેસ્ટોરન્ટ અને ભારત ડાઈનિંગ હૉલ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અન્ય 38 જેટલી નાસ્તા અને ડેરી ઉત્પાદનોની પેઢીઓ પર પણ સ્થળ તપાસ હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar