politics
અમરેલીમાં 5000 દિવડાઓથી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી:કામનાથ મહાદેવ મંદિરે ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમ સાથે ભવ્ય મહાઆરતી થશે
અમરેલી શહેરમાં આવતીકાલે તા. 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે પવિત્ર કામનાથ મહાદેવ મંદિર ખાતે ‘આશીર્વાદના દીવા’ શીર્ષક હેઠળ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાઈ રહ્યું છે. આ અંતર્ગત કામનાથ મહાદેવ મંદિર ખાતે અંદાજે 5 હજાર ‘આશીર્વાદના દીવડાઓ’ પ્રજ્વલિત કરવામાં આવશે અને ભવ્ય મહાઆરતી યોજાશે. મંદિરને ફૂલો અને રંગોળીથી શણગારાશે કાર્યક્રમને લઈને કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવશે. મંદિરના વિશાળ પટાંગણમાં વિવિધ સ્થળોએ હજારો દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવશે. સાથે જ આકર્ષક રંગોળીઓનું સુશોભન કરવામાં આવશે. ઋષિગણો દ્વારા મંત્રોચ્ચાર પણ કરવામાં આવશે. ભગવાન કામનાથ મહાદેવની સન્મુખ ભક્તિભાવપૂર્વક વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી શહેરના મુખ્ય સ્થળો રોશનીથી ઝળહળશે જિલ્લાકક્ષાના કાર્યક્રમને પગલે માત્ર મંદિર પરિસર જ નહીં, પરંતુ સમગ્ર અમરેલી શહેરને પણ રોશનીથી શણગારવામાં આવશે. સેન્ટર પોઈન્ટ, નાગનાથ ચોક, એસ.ટી. બસ સ્ટેશન અને શિવાજી સર્કલ સહિતના મહત્વના સ્થળો તથા મુખ્ય માર્ગો પર રંગબેરંગી લાઈટિંગ કરવામાં આવશે. જેના કારણે શહેરમાં ઉત્સવ અને ભક્તિનો માહોલ જોવા મળશે. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. અમરેલી સહિત તમામ તાલુકામાં ‘આશીર્વાદ દીવા’ કાર્યક્રમ અમરેલી જિલ્લામાં તાલુકાવાર પણ ‘આશીર્વાદ દીવા’ કાર્યક્રમો યોજાશે. અમરેલી તાલુકામાં સૌના શિવ, બાબરામાં તાપડીયા આશ્રમ, લીલીયામાં રામજી મંદિર-આંબા, બગસરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, લાઠીમાં દુઃખ ભંજન મહાદેવ મંદિર, ખાંભામાં માનકેશ્વર મંદિર, રાજુલામાં ભંડારીયા દાદા-ભાક્ષી ખાતે કાર્યક્રમ યોજાશે. સાવરકુંડલામાં કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ગ્રાઉન્ડ, જાફરાબાદમાં રામજી મંદિર-રોહિસા, ધારીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર અને કુંકાવાવમાં શિવ મંદિર (શારદા શોપિંગ) ખાતે ‘આશીર્વાદ દીવા’ના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં સ્થાનિક ધારાસભ્યો, પદાધિકારીઓ અને હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
Read full article on Divya Bhaskar