crime
ગઠિયાએ 8 સેકન્ડમાં દર્શનાર્થીનો આઈફોન સેરવી લીધો, CCTV:લાલ દરવાજા પાસે આવેલા બહુચરમાતાજીના મંદિરમાં ભક્તના મોબાઈલની ચોરી
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુનો 1.25 લાખનો આઈફોન ચોરી થયો છે. દર્શન કરતી વખતે ભક્તિમાં મગ્ન બનેલા નિવૃત્ત વૃદ્ધના ખિસ્સામાંથી ભક્ત બનીને આવેલા તસ્કરો નજર ચૂકવીને ફોન સેરવી ગયા હતા.આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દર્શન કરી ફોન ખિસ્સામાં મૂક્યો'ને ગઠિયાએ સેરવી લીધો એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા દેવર્ષ બંગ્લોઝમાં રહેતા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર જરદોશ ગત 16 ઓગસ્ટ 2026ના રોજ 11:30 વાગે લાલ દરવાજા કારંજ ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તેઓએ પોતાના માટે ખરીદેલો 1,23,500 રૂપિયાની કિંમતનો ફોન ફોટો પાડીને પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. મંદિરમાં માતાજીના દર્શન કરતી વખતે તેઓ ભક્તિમાં લીન હતા, ત્યારે કોઈ અજાણ્યા ચોરે તકનો લાભ ઉઠાવી તેમના ખિસ્સામાંથી આ કિંમતી મોબાઈલ ચોરી લીધો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી દર્શન કરીને મંદિરની બહાર આવ્યા બાદ અજયકુમારે ખિસ્સામાં તપાસ કરતા મોબાઈલ ફોન ગાયબ જણાયો હતો.આસપાસ અને સંબંધીઓ પાસે સતત શોધખોળ કરવા છતાં ફોન મળી આવ્યો ન હતો. આખરે આ મામલે તેમણે કારંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.મંદિરમાં ચોરીની ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ભક્ત બનીને દર્શન કરવા આવેલા યુવાનોએ ગણતરીની સેકન્ડમાં ફોન ચોરી કરવાની કરામત કરી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar