politics
મોરબીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં AAP પ્રમુખનું રાજીનામું:અન્ય રાજકીય આગેવાનોને ખેડૂતોના સમર્થનમાં આવવા આહ્વાન; ખાનગી વીજ કંપની સામે 4 મહિનાથી ખેડૂત આંદોલન
મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયર સામે પૂરતું વળતર મેળવવા માટે છેલ્લા 4 મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ બિનરાજકીય આંદોલનને સમર્થન આપવા હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેશ પટેલે પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે અન્ય પક્ષોના નેતાઓને પણ હોદ્દા છોડી ખેડૂતોના હિતમાં જોડાવા અપીલ કરી છે. જેતપર ઉપવાસી છાવણી ખાતે રાજીનામું હળવદથી જેતપર ગામે સ્થિત ઉપવાસી છાવણી ખાતે પહોંચીને જયેશ પટેલે પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના હિત અને અધિકારો માટે ચાલી રહેલી લડતને મજબૂત કરવા તેમણે પદ અને પક્ષનો ત્યાગ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા વળતર મામલે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. અન્ય રાજકીય આગેવાનોને જોડાવા આહ્વાન જયેશ પટેલે વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા સ્થાનિક નેતાઓને ખેડૂતોની વહારે આવવા આહ્વાન કર્યું હતું. તેમણે અપીલ કરી હતી કે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને તમામ આગેવાનો પોતાના હોદ્દા છોડે અને ખેડૂત આંદોલનમાં જોડાય. આ બિનરાજકીય લડાઈમાં ખેડૂતોના હકની માંગણી વધુ બુલંદ બનાવવા માટે તેમણે આ નિર્ણય લીધો હતો. આંદોલનકારી નેતા દ્વારા નિર્ણયના વખાણ ખેડૂત આંદોલનના મુખ્ય આગેવાન નેહુલ અમૃતિયાએ જયેશ પટેલના આ નિર્ણયને આવકારીને તેમને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતના પુત્ર તરીકે જયેશ પટેલે પોતાની સાચી ફરજ બજાવી છે. નેહુલ અમૃતિયાએ પણ અન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પોતાના હોદ્દાઓ ત્યજીને સૌપ્રથમ ખેડૂતોના અધિકારોની લડાઈમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
Read full article on Divya Bhaskar