politics
આપ અને કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર, ગૃહમંત્રીના રાજીનામાની માગ:"મંત્રીઓ અને વહીવટદારોના હપ્તા કમલમ સુધી પહોંચે છે" પોલીસ અને વહીવટી તંત્ર સામે સીધા આક્ષેપ - ગોપાલ ઇટાલીયા
ત્રણ વર્ષ પહેલાં બોટાદ, આજે ભાવનગર, સરકારના 'રોયલ સ્ટેગ મંત્રી' પર ગોપાલ ઇટાલીયાના ગંભીર સવાલો ગુજરાતમાં અંગ્રેજી દારૂના ખુલ્લેઆમ મેન્યુફેક્ચરિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જનતાને જાગૃત થવા અપીલ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હોસ્પિટલમાં રૂબરૂ મુલાકાત લઈ રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે બીજી તરફ શહેર કોંગ્રેસે પણ કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, ભાવનગર શહેરની સર ટી. હોસ્પિટલ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પત્રકાર પરિષદ યોજી હતી આ દરમિયાન તેમણે તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાને લઈને રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને ગંભીર આરોપો લગાવ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, "આજથી ત્રણ વર્ષ પહેલાં બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ વખતે જે જગ્યાએ બેસીને અમે અવાજ ઉઠાવ્યો હતો, આજે ઠીક ત્રણ વર્ષ પછી એ જ સરકારી હોસ્પિટલના એ જ બિલ્ડિંગના ત્રીજા માળે અને એ જ વોર્ડના ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે." તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે અને ઝેરી રસાયણોથી નિર્દોષ યુવાનોના ભોગ લેવાઈ રહ્યા છે. ગોપાલ ઇટાલીયા એ પોલીસ અને વહીવટી અધિકારીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, દારૂના હપ્તા કમલમ સુધી પહોંચે છે અને માત્ર સસ્પેન્શન કે બદલીના નામે નાટક કરવામાં આવે છે જો સરકાર ઈમાનદાર હોય તો છેલ્લા 10 વર્ષમાં ફરજ બજાવનારા એસપી અને એલસીબી પીઆઈની મિલકતોની તપાસ કરાવીને રિપોર્ટ જાહેર કરવો જોઈએ., હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સારવાર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે જીવ બચાવવા માટે જરૂરી ‘ફોમીપિઝોલ’ જેવી મહત્વની દવાઓ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ નથી, જ્યારે લોકોને મારવા માટેનો નશો પૂરતા પ્રમાણમાં મળી રહે છે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પોલીસના દબાણ હેઠળ ખોટા નિવેદનો આપી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો., વધુમાં જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડમાં નાની વયે વિધવા બનતી બહેનો અને નિરાધાર થતાં બાળકોની જવાબદારી કોણ લેશે તેવો સવાલ તેમણે સરકારને કર્યો હતો, છેલ્લામાં તેમણે રાજ્યની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે માત્ર રાજીનામાં માંગવાથી કશું નહીં થાય, પરંતુ આ બિનસંવેદનશીલ સરકાર સામે જનતાએ હવે જાતે જાગૃત થઈને યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે... શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં આજે આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને અધિક કલેકટરને રજુઆત કરી ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બનાવને અત્યંત શરમજનક ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, ઘટનામાં સાતથી વધુ લોકોનાં મૃત્યુ થયા હોવા છતાં રાજ્યમાં હજુ પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા મારવા જેવી સ્થિતિ છે અને આ હપ્તાખોર ભાજપ સરકારનો હત્યાકાંડ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હોવાનું જણાવી તાત્કાલિક ધોરણે તેમના રાજીનામાની માગણી કરવામાં આવી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં આ સ્થિતિ નહીં સુધરે, તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે...
Read full article on Divya Bhaskar