Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
અમદાવાદમાં તહેવારોના પખવાડિયા પહેલાં જ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. આગામી મહિનાથી તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે નાગરિકો સુધી ભેળસેળવાળી કે હાનિકારક મીઠાઈ ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ઓન-ધ-સ્પોટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લેબોરેટરી ટેક્નિશિયનને સાથે રાખીને વિવિધ મીઠાઈના નમૂનાઓની સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી.
દૂધનો હલવો, કેસર પેંડા અને કાજુ કતરી જેવી મીઠાઈઓ પર નાઇટ્રિક એસિડ સહિતના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટના આધારે મીઠાઈમાં વપરાયેલા વરખ અને અન્ય સામગ્રી ખાવા યોગ્ય છે કે કેમ તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.
આ દરમિયાન ABP અસ્મિતાના સંવાદદાતાએ મણિનગર સ્થિત માધવી સ્વીટ્સમાં કાજુ કતરી પર નાઇટ્રિક એસિડ નાખીને તપાસ કરી હતી. અધિકારી કેતન મહેતાના જણાવ્યા અનુસાર, એસિડ નાખ્યા બાદ જો વરખ ઉખડી ન જાય તો તે એલ્યુમિનિયમ મિશ્રિત વરખ હોવાની શક્યતા રહે છે. જોકે, કાજુ કતરી પર લગાવેલું વરખ એસિડ નાખ્યા બાદ ઉખડી ગયું હતું, જેના આધારે તે ચાંદીનું વરખ હોવાનું સામે આવ્યું હતું.