Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગરમાં સામે આવેલા ચર્ચિત અને ચકચારી લઠ્ઠાકાંડ મામલે આ કેસમાં પકડાયેલા 13 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે તમામ 13 આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. SMC દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી દલીલો બાદ મંજૂર થયેલા આ રિમાન્ડ દરમિયાન લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા અને અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે ક્રિમિનલ બાર એસોસિએશને એક ઠરાવ પસાર કરીને આ ગુનામાં સંડોવાયેલા કોઈપણ આરોપીનો કેસ ન લડવાનો નિર્ણય લીધો છે.
મૃતકોના લોહીના સેમ્પલમાંથી મિથેનોલનું મોટું પ્રમાણ મળી આવ્યું
સ્ટેટ મોનિટરિંગ સેલે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો હોવાનો સત્તાવાર સ્વીકાર કર્યો છે. તપાસ દરમિયાન મૃતકોના લોહીના સેમ્પલમાંથી મિથેનોલનું મોટું પ્રમાણ મળી આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, હલકી ગુણવત્તાવાળા દારૂમાં જીવલેણ મિથેનોલ કેમિકલનું મિશ્રણ કરીને ઝેરી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધાર તરીકે રઈશ, નરેન્દ્ર યાદવ અને ગૌતમ સોલંકી સામે આવ્યા છે.
SMC દ્વારા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દા
દારૂમાં વપરાયેલું કેમિકલ મેળવવા માટે રાજ્ય બહાર જવું પડ્યું હોવાથી તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. અન્ય રાજ્યોમાં આરોપીઓના કોઈ સંપર્ક કે મોડસ ઓપરેન્ડી જોડાયેલી છે કે કેમ તે અંગે વિગતો મેળવવી.આ મિશ્રિત અને ઝેરી દારૂનું ક્યાં-ક્યાં વેચાણ કરવામાં આવ્યું હતું તેનું નેટવર્ક શોધી કાઢવું.તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા અને આ સમગ્ર કાંડમાં દરેક આરોપીની અલગ-અલગ ભૂમિકા શું હતી તે બાબતે સઘન પૂછપરછ કરવી.
પોલીસ તંત્ર દ્વારા તપાસ ઝડપી બનાવતા દારૂની બોટલ અને તેના પર મારેલા સ્ટીકરના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે કે દારૂની બોટલ પર રહેલા બારકોડ અને '8901522000665' નંબર પર ખાસ ધ્યાન રાખવું તેમજ જાહેર કરેલા સ્ટીકરવાળી દારૂની બોટલ જો કોઈ પાસે હોય તો તેનો તુરંત જ નાશ કરી દેવો. વધુમાં, જો કોઈ વ્યક્તિએ આ સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય તો તેણે કોઈપણ જાતની રાહ જોયા વિના તાત્કાલિક તબીબી સારવાર મેળવી લેવી, જેથી મોટી હોનારતથી બચી શકાય.