crime
ભૂગર્ભ ગટર કૌભાંડમાં કરોડોના બોગસ બિલોનો આક્ષેપ.:અગાઉના બોગસ બિલોની કોઈ કાર્યવાહી નહીં,વધુ 700 જેટલા બોગસ બિલોમાં ₹150 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ,મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને બધી જાણ હોવા છતાં અજાણ
જૂનાગઢ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ રકમનો ઉપયોગ પ્રજાની સુખાકારી માટે થવાને બદલે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવામાં થતો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં સાતસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેમાં ફેઝ-2 ના ₹450 કરોડના કામમાં જ આશરે ₹150 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે જાગૃત નાગરિકો અને ભાજપના કાર્યકરો મેદાને આવ્યા છે. મનપાના રેકોર્ડ પર ફેઝ-2 નું 90% થી 92% કામ પૂર્ણ થઈ ગયેલું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં નવી બનેલી સડકો તોડવાની નોબત આવી છે અને ચોમાસામાં નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નરેશ ગોવિંદભાઈ ડવે જૂનાગઢ ભૂગર્ભ ગટર યોજના ફેઝ-2 ના કામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, વિવિધ તપાસ એજન્સીઓ અને પોલીસ વિભાગના રિપોર્ટ હોવા છતાં હજુ સુધી દોષિતો સામે કોઈ મજબૂત કાર્યવાહી કરવામાં આવી નથી. બોગસ ચલાણો અંગે મહાનગરપાલિકા કમિશનરને પણ લેખિત અને પ્રત્યક્ષ રજૂઆતો કરવામાં આવી છે. હાલ જે માહિતી સામે આવી છે જેમાં કૌભાંડ આચરવા માટે 'દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ' નામની પેઢી દર્શાવાઈ છે, જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી અને તેની પાસે GST નંબર પણ નથી. આ બોગસ પેઢીના નામે ₹40 લાખથી વધુના બિલો અને કુલ ₹2 કરોડ જેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સંબંધિત અધિકારીઓ, સિટી ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોએ મિલીભગત કરીને સરકારી દસ્તાવેજ ગણાતી એમ.બી. માં ખોટા રેકોર્ડ્સ ઊભા કરી સરકારી નાણાંની બારોબાર ઉચાપત કરી છે. આ અંગે સ્થાનિક પોલીસને ઈમેલથી જાણ કરાઈ છે. 1 થી 11 સુધીના બિલોમાં ભ્રષ્ટાચાર સાબિત થઈ જતાં દસ્તાવેજો મળ્યા હતા. પરંતુ આગળનો ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે 11 થી 19 સુધીના બિલોની માહિતી દબાવવામાં આવી રહી છે. પ્રથમ અપીલ અધિકારી અને માહિતી આયોગ દ્વારા તમામ દસ્તાવેજો વિનામૂલ્યે પૂરા પાડવાનો સ્પષ્ટ આદેશ હોવા છતાં સિટી ઇજનેર વિભાગ માહિતી આપી રહ્યો નથી. તેમણે ઉમેર્યું કે ફેઝ-1 માં પણ ભારે ભ્રષ્ટાચાર થયો હતો, જ્યારે અઢી વર્ષથી ચાલતા ફેઝ-2 નું કામ કાગળ પર 90% થી 92% પૂર્ણ દર્શાવાયું છે. અંતમાં તેમણે ચેતવણી આપી હતી કે જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ ન્યાય મેળવવા હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. બીજી તરફ, જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અને વોટર વર્કસ સમિતિના ચેરમેન સુભાષ રાદડિયાએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગટરની અત્યંત ગંભીર સમસ્યા છે અને ચેમ્બરો કાયમ ઉભરાતી રહે છે. નવા રોડ બનાવતી વખતે ગટરની લાઈનોમાં સિમેન્ટ ભરાઈ જવાથી દરરોજ સવારે ચારથી પાંચ ચેમ્બરો ભરાયેલી રહે છે અને લોકો હેરાન થાય છે. તેમણે ઉમેર્યું હતું કે અંદાજે ₹254 કરોડથી વધુના ભ્રષ્ટાચારની બાબતો સામે આવી રહી છે ત્યારે આ મામલે કોઈ પણ જાતના પક્ષપાત વગર તટસ્થ તપાસ થવી જોઈએ અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ. તેઓ આ સમગ્ર ગંભીર બાબતે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પણ લેખિત રજૂઆત કરજે. આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઇન્દ્રજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ બાબત હાલમાં જ તેમના ધ્યાન પર આવી છે અને તેમની પાસે હજુ સુધી આ અંગેની સંપૂર્ણ વિગતો આવી નથી. પરંતુ આજે માધ્યમો દ્વારા આ ગંભીર બાબત તેમના ધ્યાન પર આવી હોવાથી, આ કૌભાંડમાં જે પણ કંઈ તપાસ કરવાની રહેશે તે તમામ તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે અને જે પણ તથ્યો સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જૂનાગઢમાં આટલા મોટા પાયે કરોડો રૂપિયાનું ભૂગર્ભ ગટર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના પુરાવા પોલીસ તપાસ અને RTI માં બહાર આવ્યા હોવા છતાં, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામ બાબત જાણવા છતાં અજાણ બની રહ્યા છે અને મામલે મૌન ધારણ કરીને બેઠા છે. સમગ્ર કૌભાંડ અને બોગસ બિલોની વિગતો તમામ શાસકોના ધ્યાને હોવા છતાં તેઓ આ વિષય પર કંઈ પણ બોલવા રાજી નથી, જેને લઈને શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યારે મુખ્ય સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા, સિટી ઇજનેરો અને કોન્ટ્રાક્ટર પી.સી. સ્નેહલ કંપનીને બચાવવા માટે કોનું પીઠબળ કામ કરી રહ્યું છે અને કોના કહેવાથી પોલીસ એફઆઈઆર નોંધવામાં આવતી નથી.
Read full article on Divya Bhaskar