top
દારૂડિયાને ખબર જ નહોતી, પથ્થર તેણે વંદે ભારત પર ફેંક્યા:દારૂના નશામાં યુવકનો બે ટ્રેન પર પથ્થરમારો, UPના રાજ્યપાલના કોચથી એક ડબ્બો છોડીને કોચનો કાચ ફોડ્યો
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુસાફરી કરી રહ્યા હતા તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગતરોજ પથ્થરમારાની ઘટના ઘટી હતી, જેના કારણે રેલવે તંત્ર અને ઉચ્ચ સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. હાઈ-પ્રોફાઈલ VIP મૂવમેન્ટ હોવા છતાં ટ્રેનના કોચ પર પથ્થરો વાગતાં બારીઓના કાચમાં તિરાડો પડી ગઈ હતી. સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરીને પથ્થરમારો કરનાર 30 વર્ષીય નશાખોર શખ્સને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી દારૂના અતિશય નશામાં હોવાથી તેને ખ્યાલ જ નહોતો કે તે પથ્થરો દેશની પ્રીમિયમ ટ્રેન પર ફેંકી રહ્યો છે. સાંજે 7 વાગ્યે ઉત્રાણ સ્ટેશન નજીક અચાનક પથ્થરમારો થયો મંગળવારે સાંજે આશરે 7:00 વાગ્યાના સુમારે મુંબઈથી અમદાવાદ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેક નજીકથી અચાનક પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ પથ્થરો સીધા ટ્રેનના C-6 અને C-10 નંબરના કોચ પર વાગતાં બારીઓના કાચ ક્રેક થઈ ગયા હતા. અચાનક થયેલા આ હુમલા અને મોટા અવાજથી કોચમાં બેઠેલા મુસાફરોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સે વંદે ભારત ઉપરાંત અન્ય એક ડબલ ડેકર ટ્રેન પર પણ પથ્થરમારો કર્યો હતો. રાજ્યપાલના E-1 કોચથી માત્ર એક ડબ્બો છોડીને પથ્થર વાગ્યા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ આ ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચ E-1માં સવાર થઈને વાપીથી અમદાવાદ તરફ મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે આ સફરમાં દીવ-દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, જાણીતા અભિનેતા અનંગ દેસાઈ તેમજ રાજ્યપાલના પુત્રી પણ ઉપસ્થિત હતા. ટ્રેનની સંરચના મુજબ રાજ્યપાલ જે કોચમાં બેઠા હતા તેનાથી માત્ર એક કોચના અંતરે જ પથ્થરો અથડાયા હતા. સદનસીબે પથ્થરો એક્ઝિક્યુટિવ કોચ સુધી ન પહોંચતા તમામ મહાનુભાવો અને મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. RPFની ટીમે લૂમ્સ કારખાનાના નશાખોર કામદારને દબોચી લીધો ઘટનાની ગંભીરતાને જોતાં અંકલેશ્વર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઉત્રાણ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે ટ્રેક નજીકથી 30 વર્ષીય શકમંદ શખ્સને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે, લૂમ્સના કારખાનામાં મજૂરી કરતો આ યુવક કામ પૂરું થયા બાદ દારૂ પીને રેલવે ટ્રેક પાસે પહોંચ્યો હતો. શરૂઆતમાં તે રખડતા શ્વાનો પર પથ્થરો ફેંકી રહ્યો હતો અને ત્યારબાદ નશામાં ભાન ભૂલીને ત્યાંથી પસાર થતી ટ્રેનો પર પથ્થરમારો કરવા લાગ્યો હતો. હાલ રેલવે સુરક્ષા દળ દ્વારા વીઆઈપી સુરક્ષામાં થયેલી ક્ષતિ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar