top
જૈન સાધુના સેવક બની શ્રાવકો સાથે 2.90 લાખની છેતરપિંડી:કોર્ટ આદેશ બાદ 8.14 કરોડનો વિદેશી દારૂ નષ્ટ, ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પાસે ભિક્ષાવૃત્તિ કરતા 19 લોકો ડિટેઈન
સુરત શહેરમાં ક્રાઈમ અને કાયદો-વ્યવસ્થાને લગતી ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. અડાજણમાં જૈન મુનિના નામે શ્રદ્ધાનો દુરુપયોગ કરી સાયબર ગઠિયાઓએ બે શ્રાવકો પાસેથી ₹2.90 લાખ પડાવી લીધા છે. બીજી તરફ, ડિંડોલી ખાતે કોર્ટના આદેશ બાદ ઝોન-1 ના 6 પોલીસ મથકોમાં જપ્ત કરાયેલો ₹8.14 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શહેરના ટ્રાફિક સિગ્નલો અને મંદિરો પાસે ટ્રાફિક અડચણરૂપ બનતા ભિક્ષુકો સામે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે (AHTU) સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી 12 મહિલાઓ સહિત કુલ 19 ભિક્ષુકોને ઝડપી પાડી રાંદેર સ્થિત સ્વીકૃતિ કેન્દ્ર ખાતે મોકલી આપ્યા છે. જૈન સાધુના સેવક બની શ્રાવકો સાથે ₹2.90 લાખની ઠગાઈ અડાજણ વિસ્તારમાં ધાર્મિક આસ્થાની આડમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. કતારગામ સ્થિત ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ લાલનને અજાણ્યા નંબર પરથી ફોન કરી સામેવાળા શખ્સે પોતે 'કલ્પસૂત્ર ગુરુજી'નો સેવક હોવાની ઓળખ આપી હતી. તેણે સાધાર્મિક કાર્ય માટે તાત્કાલિક ₹80 હજારની જરૂર હોવાનું કહેતાં કિરીટભાઈએ ગુગલ-પે દ્વારા રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. બાદમાં ગુરુજી સાથે વાત કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ જ રીતે હની પાર્ક રોડના અન્ય એક શ્રાવક રોહિતભાઈ શાહ પાસેથી 'ઉદયવલ્લભ મહારાજ'ના નામે ₹2.10 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. અડાજણ પોલીસે તેજશ શાહ નામના ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટના આદેશ બાદ ડિંડોલીમાં ₹8.14 કરોડનો વિદેશી દારૂ નષ્ટ કરાયો સુરત પોલીસના ઝોન-1 વિસ્તાર હેઠળ આવતા છ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો કાયદેસર નિકાલ કરવામાં આવ્યો હતો. ડિંડોલીના હેપ્પી વેલી રોડ સ્થિત પ્રમુખ પાર્ક ખાતે સંબંધિત કોર્ટની મંજૂરી બાદ વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં કાપોદ્રા, સરથાણા, લસકાણા, વરાછા, પુણા અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી કુલ 38,885 વિદેશી દારૂ અને બિયરની બોટલો પર બુલડોઝર-રોલર ફેરવી દેવાયું હતું. નાશ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹8,14,01,775 આંકવામાં આવી છે. પુણા પોલીસ મથકમાં સૌથી વધુ ₹4.08 કરોડનો દારૂ પકડાયો હતો દારૂના નિકાલની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સિટી પ્રાંત (દક્ષિણ)ના નાયબ કલેક્ટર એમ. એમ. પટેલ, નશાબંધી વિભાગના અધીક્ષક જે. એસ. તન્ના અને ઝોન-1 ડીસીપી આલોક કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસના સત્તાવાર આંકડા મુજબ, સૌથી વધુ જથ્થો પુણા પોલીસ સ્ટેશનનો હતો, જ્યાં એકલા મથકમાંથી જ ₹4.08 કરોડની કિંમતની 15,351 દારૂની બોટલો નાશ કરવામાં આવી હતી. ત્યારબાદ વરાછા, લસકાણા, સરથાણા, કાપોદ્રા અને અશ્વિનીકુમાર મથકના મુદ્દામાલનો પંચોની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે સુરક્ષિત રીતે નિકાલ કરાયો હતો. ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પાસે ભિક્ષાવૃત્તિ કરતા 19 લોકો ડિટેઈન શહેરના જાહેર માર્ગો અને ટ્રાફિક જંક્શનો પર વાહનચાલકો માટે જોખમી બનતી ભિક્ષાવૃત્તિ અટકાવવા ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પીઆઈ એમ. બી. શેરગીલ અને તેમની ટીમે શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો તેમજ મંદિરોની આસપાસ સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ભીખ માંગતા અને મંગાવતા 12 મહિલાઓ અને 7 પુરુષો મળી કુલ 19 લોકોને ઝડપી લેવાયા હતા. કાયદેસરની કાર્યવાહી બાદ તમામને રાંદેર સ્થિત ભિક્ષુક સ્વીકૃતિ કેન્દ્ર ખાતે સોંપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar