top
જગતમંદિરે ધ્વજા ચડાવવાના નામે છેતરપિંડી:₹1.02 લાખની બનાવટી પહોંચ બનાવનાર પકડાયો, દ્વારકાધીશના ધ્વજારોહણના નામે ઠગાઈથી ચકચાર
દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજાજી ચડાવવા માટે જ્ઞાતિ સંસ્થાના નામની બનાવટી પહોંચથી 1.02 લાખ રૂપિયા મેળવ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા શિવમ ઠાકરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બરડીયા ગામના ધવલ દેવપુરારીની ફરિયાદ મુજબ, આરોપીએ મહિલા સાહેદને દ્વારકાધીશ મંદિરના શિખરે ધ્વજાજી ચડાવવાના નામે વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારકા સંસ્થાના નામની ખોટી અને બનાવટી પહોંચ બનાવી, તેમાં ખોટી સહી કરી સાચી તરીકે ઉપયોગ કર્યાનો આરોપ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ ધ્વજાજીની બે પહોંચ પેટે 51,000 રૂપિયા લેખે કુલ 1,02,000 રૂપિયા મેળવી આર્થિક લાભ લીધો હતો. આ રીતે સાહેદ તથા જ્ઞાતિ સંસ્થા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દ્વારકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(2), 318, 336(2), 336(3), 336(4), 338 અને 340 હેઠળ ગુનો નોંધ્યો છે. 27 ઓગસ્ટે બપોરે 3:30 વાગ્યે ગુનો નોંધાયા બાદ પોલીસે એ જ રાત્રે 9:10 વાગ્યે આરોપીની અટક કરી હતી. પો.સબ.ઇન્સ. નરેન્દ્રસિંહ સુરુભા ગોહિલ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Read full article on Divya Bhaskar