politics
જોડિયા પંથકના ખેડૂતોનો રાઘવજી પટેલના નિવાસસ્થાને ઘેરાવો:‘પાણી છોડવાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી હટીશું નહીં’ની ચીમકી, 8 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સિંચાઈના પાણીની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૌની યોજના અને ઊંડ-1 કેનાલમાં ખેતી માટે પાણી છોડવાની માંગ સાથે જોડિયા પંથકના 8 ગામોના ખેડૂતો ધ્રોલ ખાતે પૂર્વ કૃષિમંત્રી અને ધારાસભ્ય રાઘવજી પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ખેડૂતોએ ઘેરાવો કરી ધરણા શરૂ કર્યા હતા અને જ્યાં સુધી પાણી છોડવાનો સત્તાવાર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી સ્થળ પરથી નહીં હટવાની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર કચેરીએ રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા ઘેરાવો ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ સવારે જામનગર કલેક્ટર કચેરી ખાતે સિંચાઈના પાણીના પ્રશ્ને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, ત્યાંથી સંતોષકારક પ્રતિસાદ કે કોઈ ઉકેલ ન મળતાં ખેડૂતો રોષે ભરાયા હતા. ત્યારબાદ લીંબુડા, હડીયાણા, બાવડી, નથુવડલા, આણદા, મજોઠ અને બેરાજા સહિત 8 ગામોના ખેડૂતો એકત્ર થઈ ધ્રોલ ખાતે રાઘવજી પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાઘવજી પટેલ હાજર ન હોવાથી ખેડૂતો ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા. ‘નદીમાં પાણી છોડો છો તો કેનાલમાં કેમ નહીં?’ વિરોધમાં જોડાયેલા ખેડૂત સુનિલભાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન ઊંડ-1 કેનાલમાં પાણી છોડવાનો છે. તેમના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા નદીમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ કેનાલમાં પાણી કેમ આપવામાં આવતું નથી તે સમજાતું નથી. તેમણે કહ્યું હતું કે રાઘવજી પટેલ આવે ત્યાં સુધી ખેડૂતો સ્થળ પર જ બેસી રહેશે અને ઊંડ-1 કેનાલમાં પાણી છોડવાની મંજૂરી મળ્યા બાદ જ અહીંથી જશે. ‘પાણી નહીં મળે તો ઊભો પાક બચશે નહીં’ બાવડી ગામના ખેડૂત દિનેશભાઈ ધનાભાઈ સોનગરાએ જણાવ્યું હતું કે, સૌની યોજનાનું પાણી કેનાલમાં આપવામાં આવે તો જ ખેડૂતોનો ઊભો પાક બચી શકે તેમ છે. પાણી નહીં મળે તો પાક બળી જવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. તેમણે જણાવ્યું કે, રાઘવજી પટેલ હાજર ન હોવા છતાં ખેડૂતો સવાર સુધી ધરણા પર બેસી રહેવા તૈયાર છે. નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખેડૂતો દ્વારા ધારાસભ્યના નિવાસસ્થાનનો ઘેરાવો કરવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ ખેડૂતો મક્કમતાથી નિવાસસ્થાન બહાર બેઠા છે અને સિંચાઈના પાણી અંગે સત્તાવાર મંજૂરી અથવા ખાતરી ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
Read full article on Divya Bhaskar