crime
'જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં બાળકોનો ભોગ':હરણી કાંડ બાદ ન્યૂ એરા સ્કૂલ મુદ્દે વિપક્ષના આકરા પ્રહાર, દૂષિત પાણીના પ્રશ્ને ડેપ્યુટી મેયર લાલઘૂમ; પાલિકાની સામાન્ય સભામાં હોબાળો
વડોદરા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મેયરના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં વિકાસ કાર્યો, રોડ-રસ્તા, દૂષિત પાણી અને તાજેતરમાં બનેલી કરુણ દુર્ઘટનાઓને લઈને વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધો હતો. સભા દરમિયાન કોંગ્રેસના સભ્ય તીર્થ બ્રહ્મભટ્ટે શહેરમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો મુદ્દો ઉઠાવતાં જ સભાગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. મેયર જવાબ આપી રહ્યા હતા તે વેળાએ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે મંચ સંભાળીને કોંગ્રેસ સભ્ય પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તમે યુવાન છો અને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના પ્રયાસો કરો છો, પાણીની સમસ્યા હોય તો ચોક્કસ સ્થળ અને સમય જણાવો જેથી ટીમ પહોંચી શકે. ડેપ્યુટી મેયરના આ ઉગ્ર વલણ સામે કોંગ્રેસના સભ્ય પુષ્પા વાઘેલાએ વાંધો ઉઠાવી સભાસદ સાથે શાંતિપૂર્ણ અને યોગ્ય ટોનમાં વાત કરવા ટકોર કરી હતી, જ્યારે અપક્ષ કોર્પોરેટર હરીશ પટેલે પણ કટાક્ષ કર્યો હતો. ડેપ્યુટી મેયરના આ આકરા તેવરથી ખુદ ભાજપના સભ્યોમાં પણ ભારે ગણગણાટ જોવા મળ્યો હતો. ન્યૂ એરા સ્કૂલમાં વીજ કરંટથી વિદ્યાર્થીના મોત મામલે સત્તાપક્ષ ઘેરાયો વોર્ડ નંબર 1 માં આવેલી ન્યૂ એરા સ્કૂલમાં તાજેતરમાં વીજ કરંટ લાગવાથી માસૂમ વિદ્યાર્થીના થયેલા મોતના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે આ શાળા પાલિકાની માલિકીની જગ્યામાં ચાલે છે અને તેનો કરાર 10 વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયો હોવા છતાં તેને ચાલુ રાખવા માટે કોણ જવાબદાર છે. અપક્ષ સભ્ય હરીશ પટેલે સામાન્ય નાગરિકો પાસેથી ઢોલ-નગારા સાથે વેરો વસૂલતી પાલિકા આ શાળા સામે કેમ રહેમનજર રાખે છે તેવો સવાલ ઉઠાવી શાળાને તાત્કાલિક સીલ કરવાની માંગ કરી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્થળ ટ્રાન્સફર કરનારાઓ સામે કાયદેસરનો કેસ દાખલ કરવા માંગણી કરી હતી. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે સંસ્થા પાસે આશરે ₹100 કરોડનો વેરો બાકી હોવાથી નોટિસ પાઠવવામાં આવી છે અને મામલો હાલ કોર્ટમાં છે, જ્યારે વીજ કરંટની દુર્ઘટના અંગે પોલીસ તપાસ ચાલુ છે. જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં માસૂમ બાળકોનો ભોગ લેવાય છે: આશિષ જોષી વિપક્ષી સભ્ય આશિષ જોષીએ હૃદયદ્રાવક રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મૃતક બાળકના માતા-પિતાના આંસુ હજુ સૂકાયા નથી. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં નિર્દોષ બાળકો મોતને ભેટે છે. અગાઉ હરણી બોટકાંડમાં પણ 30 વર્ષના ભાડા પટ્ટે આપેલી જગ્યાનો ગેરકાયદેસર વ્યવસાયિક ઉપયોગ થતાં 12 બાળકોએ જીવ ગુમાવ્યા હતા એવી જ રીતે ન્યૂ એરા સ્કૂલનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન થયો હોવા છતાં શાળા ચાલતી રહી તે બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવશે. વોર્ડ-9ના 1500 પરિવારોના મકાન અને પાણી ભરાવાના પ્રશ્ને ચર્ચા ભાજપના કોર્પોરેટર શ્રીરંગ આયરેએ પોતાના વિસ્તારનો પ્રશ્ન રજૂ કરતાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 9 માં આવેલા દીનદયાળ નગરના 1500 મકાનોને વર્ષ 2023-24 માં નોટિસ આપીને ખાલી કરાવાયા હતા, પરંતુ પીપીપી ધોરણે 3 વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ ડેવલપર ન આવતાં આ પરિવારો હજુ સુધી ઘરવિહોણા છે. તેમણે લોકોને ઝડપથી આવાસો ફાળવવા તેમજ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. આ રજૂઆતના પ્રત્યુત્તરમાં મ્યુનિસિપલ કમિશનરે જાહેરાત કરી હતી કે દીનદયાળ નગરના અસરગ્રસ્તો માટે આગામી 10 દિવસમાં 1100 આવાસોનો ડ્રો યોજવામાં આવશે અને આગામી વર્ષોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 60,000 નવા મકાનોનું નિર્માણ કરી તમામ બાકી લાભાર્થીઓને છત પૂરી પાડવામાં આવશે.
Read full article on Divya Bhaskar