crime
કોટડા જડોદર નજીક છોટા હાથીમાં બ્લાસ્ટથી 4નાં મોત:બે સગા ભાઈઓ અને બે માસૂમ બાળકોનો ભોગ લેવાયો, ધડાકો એટલો ભયાનક હતો કે વાહનના ફુરચા ઊડી ગયા
કચ્છના નખત્રાણામાં શનિવારે એક ગોઝારી ઘટનાએ પંથકને હચમચાવી દીધું છે. કોટડા જડોદર નજીક ભાગણવાડા વિસ્તારમાં એક છોટા હાથી વાહનમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાર લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. મૃતકોમાં બે સગા ભાઈઓ ઉપરાંત ત્રણ વર્ષ આસપાસની ઉંમરના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. એક જ પરિવાર આ દુર્ઘટનાનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. ભાગણવાડા વિસ્તારમાંથી છોટા હાથી વાહન પસાર થઈ રહ્યું હતું, તે દરમિયાન તેમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનના પાછળના ભાગના ફુરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બે નાના બાળકો અને યુવાન ભાઈઓનાં મોતની આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતકોના નામ મામદ ઈલિયાસ કુંભાર (ઉંમર આશરે 30 વર્ષ) નૂરમામદ ઈલિયાસ કુંભાર (ઉંમર આશરે 26 વર્ષ) હસનેન મામદ (ઉંમર આશરે 3 વર્ષ) નૂર ફાતિમા નૂરમામદ (ઉંમર આશરે 3 વર્ષ) બ્લાસ્ટના કારણ શોધવા તપાસ ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે બ્લાસ્ટ કયા કારણોસર થયો અને વાહનમાં કઈ સામગ્રીના કારણે આટલો શક્તિશાળી વિસ્ફોટ સર્જાયો તે અંગેનું સત્તાવાર કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ તપાસ બાદ જ વિસ્ફોટનું ચોક્કસ કારણ બહાર આવી શકશે. ધડાકો એટલો ભયાનક હતો કે વાહનના ફુરચા ઊડી ગયા પ્રાથમિક માહિતી મુજબ, આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો અને વિસ્ફોટની તીવ્રતાને કારણે વાહનના પાછળના ભાગના ફુરચા ઊડી ગયા હતા.
Read full article on Divya Bhaskar