crime
કતપુર મંદિરમાંથી ચાંદીની પ્રતિમા ચોરી:બે આરોપી ઝડપાયા, LCBએ ₹1.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાટણ તાલુકાના કતપુર ગામે આવેલા મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની પ્રતિમાની ચોરી કરનાર બે આરોપીઓને પાટણ એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલી 275 ગ્રામ ચાંદીની પ્રતિમા અને ગુનામાં વપરાયેલી રિક્ષા સહિત કુલ ₹1,60,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, 14 અને 15 ઓગસ્ટ, 2026 દરમિયાન કતપુર ગામના ભરવાડ વાસમાં આવેલા મેલડી માતાના મંદિરમાંથી ચાંદીની પ્રતિમા ચોરી કરનારા ઇસમો પીળા કલરની હૂડવાળી રિક્ષા લઈને રાજપુર ગામ બસ સ્ટેશન નજીક ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક પુખ્ત વયના ઇસમ અને એક બાળ કિશોરને પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા ઇસમોની કડક પૂછપરછ કરતાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે, મોજશોખ ખાતર પૈસાની જરૂર હોવાથી તેમણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. અગાઉ દર્શન કરવા કતપુર ગામના મેલડી માતાના મંદિરે ગયા ત્યારે બપોરના સમયે કોઈની અવરજવર ન હોવાનું જોઈ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. 14 ઓગસ્ટ, 2026ના રોજ બપોરે આશરે ૧ વાગ્યે રિક્ષા લઈને કતપુર ગામે જઈ મંદિરનો દરવાજો તોડી ચાંદીની પ્રતિમા ચોરી લીધી હતી. આ બનાવ અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૩૦૫(ડી), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુનો નોંધાયેલો હતો. એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી ₹60,030 ની કિંમતની 275 ગ્રામ ચાંદીની પ્રતિમા અને ₹100,000ની રિક્ષા મળી કુલ ₹1,60,030નો મુદ્દામાલ બીએનએસએસ કલમ 106મુજબ કબજે કર્યો છે. પકડાયેલ મુખ્ય આરોપી ભરવાડ દિનેશ ઉર્ફે લાલો ધનાભાઈ સંગ્રામભાઈ (ઉં.વ. ૨૦, રહે. સાલવીવાડો, પટોળા વાળી શેરી, ભરવાડ વાસ, પાટણ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સામે બીએનએસએસ કલમ 35-1-ઈ મુજબ અટકાયતી પગલાં ભરી આગળની તપાસ અર્થે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar