top
માણસા IIFL ફાયનાન્સના બ્રાંચ મેનેજરની હત્યા:₹6 લાખની લેવડદેવડ ને ગીરવે મુકેલું સોનું પાછું મેળવવા ગળુ કાપી નાખ્યું, કાર ખાડામાં ફસાતા આરોપીઓ ભાગ્યા, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરાર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં કરોલ તથા લીમલા-વડવાસા ત્રણ રસ્તા પાસે કારમાંથી IIFL ફાયનાન્સના બ્રાંચ મેનેજરની હત્યા કરાયેલી લાશ મળવાના ચકચારી બનાવનો સાબરકાંઠા LCB અને પ્રાંતિજ પોલીસે ભેદ ઉકેલી લીધો છે. રૂ. 6 લાખની લેવડદેવડ તેમજ ગીરવે મુકેલા સોનાના દાગીના પરત મેળવવા માટે રચાયેલા કાવતરામાં પોલીસે પ્રેમિકાની ધરપકડ કરી છે, જ્યારે હત્યામાં સંડોવાયેલો તેનો પ્રેમી હાલ ફરાર થઈ ગયો છે. શું હતો સમગ્ર બનાવ? પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, માણસા ખાતે IIFL ફાયનાન્સમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા 42 વર્ષના ભરત કાન્તીભાઈ ચૌધરીની ગત 2 સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. તેમની લાશ સફેદ રંગની વર્ના કાર (નં. GJ-27-BS-9166)માંથી મળી આવી હતી. તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નિપજાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રાંતિજના 999 સરકારી વસાહતના એક બંધ મકાનમાંથી ભાવના ઉર્ફે ભાવુ રોહિતજી દશરથજી ઠાકોરને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાનો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભાવનાને યોગેશજી ગોકળજી ઠાકોર સાથે છેલ્લા સાત વર્ષથી પ્રેમસંબંધ હતો. ભાવનાએ મૃતક ભરત પાસેથી રૂ. 1.50 લાખ અને પ્રેમી યોગેશે અલગ-અલગ લોન પેટે રૂ. 4.50 લાખ લીધા હતા. આમ, કુલ રૂ. 6 લાખની રકમ પરત ન આપવી પડે અને ગીરવે મુકેલું સોનું પાછું મેળવવા બંનેએ ભરતની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. ચાલતી કારમાં ઘાતકી હત્યા કાવતરા મુજબ ભાવનાએ ભરતને ફોન કરી પૈસા લઈ જવા પ્રાંતિજ બોલાવ્યો હતો. ત્યાર બાદ યોગેશ ઠાકોર વર્ના કારમાં ભરતને માણસાથી સાથે લાવ્યો હતો અને પ્રાંતિજથી ભાવના પણ કારમાં બેસી ગઈ હતી. વડવાસા નજીક નેશનલ હાઇવે-48ના સર્વિસ રોડ પાસે ભાવનાએ ભરતને પકડી રાખ્યો હતો, જ્યારે યોગેશે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરી તેની કારની અંદર જ હત્યા કરી નાખી હતી. કાર ખાડામાં ફસાતા આરોપીઓ ભાગ્યા હત્યા કર્યા બાદ બંને આરોપી લાશનો નિકાલ કરવા માટે કારમાં જ મૃત્તદેહ રાખીને લીમલા-વડવાસા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર રિવર્સ લેતી વખતે રોડની બાજુના ખાડામાં ફસાઈ ગઈ હતી. કાર નીકળી શકે તેમ ન હોવાથી બંને આરોપી કારને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ભાવના ઉર્ફે ભાવુ રોહિતજી દશરથજી ઠાકોર (રહે પ્રાંતિજ)ની ધરપકડ કરી લીધી છે, જ્યારે યોગેશજી ગોકળજી ઠાકોર (રહે.માણસા) હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar