business
મિલકતવેરાને લઈ મહાનગરપાલિકાનું કડક ઉઘરાણું:શહેરની 20 મિલકતો સીલ કરી ડિફોલ્ટર્સો પાસેથી 40 લાખ વસૂલ્યા, અત્યાર સુધીમાં 55.15 કરોડની આવક થઈ
ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા ગત વર્ષના બાકી લેણાં નિશ્ચિત સમયમર્યાદામાં ભરપાઈ ન કરનારા ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરીને સીલિંગ અને ટાંચ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કડક મોહિમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 20 જેટલી મિલકતોને સીલ મારી દઈ આક્રમક વલણ અપનાવી 40 લાખ બાકી વેરાની વસૂલાત કરાઈ છે. બાકીદારો સામે સ્પષ્ટ પગલા લેવાની ચીમકી મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા ગત વર્ષના બાકી લેણાં ધરાવતા મિલકતધારકો સામે એક વ્યાપક અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ સઘન ઝુંબેશને વધુ તેજ બનાવીને અન્ય બાકીદારો સામે પણ આકરાં પગલાં લેવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પાલિકાને કરદાતાઓ તરફથી અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે. 31.30 કરોડ રુપિયા ડિજિટલના માધ્યમથી ચૂકવાયા અત્યાર સુધીમાં કુલ 1,15,288 નાગરિકોએ પોતાની ફરજ સમજીને રૂ. 55.15 કરોડનો મિલકતવેરો જમા કરાવી દીધો છે. આ વર્ષે કેશલેસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝુકાવ નોંધપાત્ર જોવા મળ્યો છે. કુલ વસૂલાતના 56.75 ટકા ભાગ એટલે કે રૂ. 31.30 કરોડ જેટલી મોટી રકમ 75,191 કરદાતાઓએ યુ.પી.આઈ., નેટ બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જેવા ડિજિટલ માધ્યમોથી ચૂકવી છે. 23.85 કરોડનો વેરો કેશ કે ચેકથી જમા થયો જ્યારે 40,097 નાગરિકોએ રૂ. 23.85 કરોડનો વેરો ઓનલાઇન સિવાયના ઓફલાઇન કેશ કે ચેક માધ્યમથી જમા કરાવ્યો છે જે કુલ રકમના 43.25 ટકા હિસ્સો દર્શાવે છે.ચાલુ નાણાકીય વર્ષનો વેરો ભરવા માટે મહાનગરપાલિકાએ સપ્ટેમ્બર માસના અંત સુધીની આખરી સમયમર્યાદા આપી છે. આ મુદત પૂર્ણ થયા બાદ જારી કરાયેલા બિલને જ આખરી નોટિસ ગણીને કોઈપણ આગોતરી જાણ વગર મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરાશે. નાગરિકોને ઘરેબેઠા બિલ મળી રહે તે માટે ઇન્ડિયા પોસ્ટ મારફતે વિતરણ સુનિશ્ચિત કરાયું છે. જો કોઈ કારણોસર બિલ ન મળ્યું હોય તો નાગરિકો ગાંધીનગર મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ gandhinagarmunicipal.com અથવા નજીકની જનસેવા કચેરી પરથી ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકે છે. તંત્ર દ્વારા સીલિંગ, ટાંચ જપ્તી કે મિલકત હરાજી જેવા આકરાં પગલાંથી બચવા સમયસર વેરો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar