crime
મકરપુરામાં સ્માર્ટ મીટર લગાવવા સામે રહીશોનો વિરોધ:જાણ વગર 6-7 ઘરોમાં મીટર બદલી દેવાતા હોબાળો, પોલીસે મામલો શાંત પાડ્યો
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા ઇન્દ્રાનગરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને વિરોધનો માહોલ સર્જાયો છે. મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા હાથ ધરવામાં આવેલી સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિસ્તારના આશરે 6થી 7 ઘરોમાં સ્થાનિક રહીશોની કોઈપણ પૂર્વ મંજૂરી કે જાણ વગર જ વીજ કંપનીના કર્મચારીઓએ સ્માર્ટ મીટર લગાવી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નારાજગી ફેલાઈ હતી. આગોતરી જાણ કર્યા વિના મીટર લગાવી દેવાતા બોલાચાલી થઈ સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે MGVCLના કર્મચારીઓએ ઘરમાલિકોને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વગર એકાએક જૂના મીટર હટાવીને સ્માર્ટ મીટર સ્થાપિત કરી દીધા હતા. આ બાબત ધ્યાને આવતાં જ મોટી સંખ્યામાં રહીશો એકઠા થઈ ગયા હતા અને કામગીરીનો સખત વિરોધ કર્યો હતો. સ્થાનિકો અને વીજ કર્મચારીઓ વચ્ચે ભારે તુ-તુ-મેં-મેં અને ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું અને લોકોએ કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી હતી. મકરપુરા પોલીસ કાફલો દોડી આવ્યો, સ્થિતિ નિયંત્રણમાં લીધી ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે સંમતિ વિના મીટર બદલવાની કામગીરી અયોગ્ય છે. હાલ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી શાંતિ સ્થાપી છે, પરંતુ સ્થાનિક લોકોમાં સ્માર્ટ મીટર સામેનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar