crime
ભાજપ નેતા અને માતા સામે છેતરપિંડીનો ગુનો:સ્કૂલ બિલ્ડિંગ અને જૂના કેસ છુપાવી ખોટા દસ્તાવેજોથી NA મંજૂરી મેળવી
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા મથકે મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી જમીનમાં શાળા કાર્યરત હોવા છતાં તેને છુપાવી ખોટા સોગંદનામા અને દસ્તાવેજો રજૂ કરીને બિનખેતી (NA) પરવાનગી મેળવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે નવસારી કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર દ્વારા ખેરગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને તેમના માતા વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ મથકે છેતરપિંડી અને કૂટલેખનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીની ચીટનીશ શાખા (જમીન દફતર)માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અમિતકુમાર નાગજીભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ખેરગામ મેઇન બજાર ખાતે રહેતા નયનાબેન જયસુખભાઈ કંસારા તથા તેમના પુત્ર અને ખેરગામ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૌતેષ જયસુખભાઈ કંસારાએ ખેરગામના સર્વે બ્લોક નંબર ૨૫ વાળી ૦-૨૩-૨૮ ચોરસ મીટર જમીનમાં જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૫ હેઠળ બિનખેતીની પરવાનગી મેળવવા માટે આઈઓઆરએ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હતી. અરજી સાથે રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણીમાં જાણવા મળ્યું કે સદર જમીન અંગે ચીખલી કોર્ટમાં અગાઉ દીવાની કેસ ચાલ્યો હોવા છતાં તેની વિગત છુપાવવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થળ પર વર્ષ ૨૦૦૮-૦૯ થી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પુષ્પશાંતિ નામની ધોરણ ૧ થી ૮ ની બે માળની સ્કૂલ બિલ્ડિંગ અને 27જેટલા રૂમોનું બાંધકામ અસ્તિત્વમાં હતું. આરોપીઓએ આ બાંધકામ છુપાવી અન્ય ખુલ્લી જમીનના રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરી સરકારી તંત્રને ગેરમાર્ગે દોર્યું હતું અને ગત જાન્યુઆરી માસમાં બહુહેતુક ઉપયોગ માટે NA હુકમ મેળવી લીધો હતો. ખેરગામના સ્થાનિક અરજદાર મુસ્તાનશીર એન. વોરાએ આ સમગ્ર ગેરરીતિ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ઊંડાણપૂર્વક તપાસની માંગણી કરી હતી. આ રજૂઆતના પગલે વાંસદા પ્રાંત અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. સદર રિપોર્ટમાં સ્થળ પર શાળા કાર્યરત હોવાનું અને દસ્તાવેજોમાં હકીકત છુપાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું સાબિત થતાં કલેક્ટરના આદેશ બાદ નાયબ મામલતદારે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નવસારી રૂરલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી તેમજ બોગસ દસ્તાવેજો ઊભા કરવા અંગે ગુનો નોંધી પીએસઆઈ એમ. એલ. સૈયદે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar