crime
દસાડામાં સ્પીડ બ્રેકરના લોખંડના ખીલ્લાથી વાહનચાલકોને હાલાકી:ટાયર પંચર થવા અને ચિરાઈ જવાની ઘટનાઓ વધી
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના હાંસલપુર-બેચરાજી રોડ પર મારુતિ સુઝુકી કંપનીના ગેટ પાસેના સ્પીડ બ્રેકરમાંથી લોખંડના ખીલ્લા દૂર ન કરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખીલ્લાઓને કારણે બાઈક, રિક્ષા અને કારના ટાયરો પંચર થવા કે ચિરાઈ જવાની ઘટનાઓ વધી છે, જેનાથી લોકોને આર્થિક નુકસાન અને મુસાફરીમાં હેરાનગતિ થઈ રહી છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ હાંસલપુર રોડ પરના સ્પીડ બ્રેકરો વચ્ચેનું અંતર વધારવામાં આવ્યું હતું, જેથી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ થઈ શકે. અગાઉ, દસાડા તાલુકાના હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીના ગેટ નંબર 5 થી JV ના ગેટ સુધી નજીક-નજીક અને ઊંચા સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા હતા. જેના કારણે રિક્ષાચાલકો સહિત અન્ય વાહનચાલકોને ભારે હાલાકી પડતી હતી અને વાહનોના મેન્ટેનન્સ ખર્ચમાં પણ વધારો થતો હતો. આ અંગે વાહનચાલકો અને રિક્ષાચાલકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે સ્પીડ બ્રેકરો વચ્ચે યોગ્ય અંતર રાખી નિયમ મુજબના સામાન્ય સ્પીડ બ્રેકરો બનાવવામાં આવે. આ રજૂઆત બાદ તંત્ર દ્વારા સ્પીડ બ્રેકરો વચ્ચેનું અંતર વધારીને વાહનચાલકોની મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. તંત્રની આ કામગીરીથી વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી હતી અને સ્થાનિકોએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar