politics
તાપી કલેક્ટરે સોનગઢ-ઉચ્છલ તાલુકાની મુલાકાત લીધી:વિકાસ કાર્યો અને ગ્રામીણ સેવાઓની સ્થળ પર સમીક્ષા કરી
તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ બુધવારે સોનગઢ અને ઉચ્છલ તાલુકાના ગ્રામીણ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો. તેમણે જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકામો, આરોગ્ય સેવાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મહેસૂલી કામગીરીની સ્થળ પર સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રવાસની શરૂઆતમાં કલેક્ટર ચૌધરીએ સોનગઢ તાલુકાના ખરસી ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામજનોને અપાતી સ્વાસ્થ્ય સુવિધાઓ, દવાનો જથ્થો અને તબીબી સેવાઓની સમીક્ષા કરી સ્ટાફને સૂચનાઓ આપી હતી. ત્યારબાદ, કલેક્ટર સોનગઢના બેડપાડા પહોંચ્યા હતા. અહીં તેમણે તલાટી કચેરીના દફતર અને રેકોર્ડની જાળવણીનું નિરીક્ષણ કર્યું હતું અને મહેસૂલી રેકોર્ડ સમયસર જાળવવા ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, તેમણે બેડપાડા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કર્યો અને શૈક્ષણિક સ્તર તથા સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. ગ્રામીણ વિકાસના ભાગરૂપે, કલેક્ટરે ઉચ્છલ તાલુકાના થુટી ગામ ખાતે ઉદ્વહન સિંચાઈ યોજનાની મુલાકાત લઈ સિંચાઈ સુવિધાઓની સ્થિતિ ચકાસી હતી. તેમણે ઉચ્છલના આનંદપુર ખાતે તલાટી દફતરની પણ તપાસણી કરી હતી. કલેક્ટરે અધિકારીઓને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી અને પારદર્શક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા સૂચનો કર્યા હતા. કલેક્ટરના આ પ્રવાસથી ગ્રામ્ય કક્ષાએ વહીવટી તંત્ર વધુ સક્રિય બન્યું છે અને લોકઉપયોગી સેવાઓની ગુણવત્તા સુધારવા માટે વેગ મળ્યો છે.
Read full article on Divya Bhaskar