crime
પ્રેમી પંખીડાની માસૂમ પુત્ર સાથે કેનાલમાં મોતની છલાંગ:અડાલજ કેનાલ વિસ્તારમાંથી બાળકની લાશ મળી, પ્રેમી યુગલનો કોઈ પત્તો લાગ્યો નથી
ગાંધીનગરના પુંદ્રા ગામના પરિણિત યુવક અને યુવતીએ દોઢ વર્ષના માસૂમ પુત્ર સાથે કરાઈ નર્મદા કેનાલમાં પડતુ મૂકી આપઘાત કરી લીધો છે. સામાજિક મર્યાદાઓ અને પ્રેમસંબંધના કારણે આ કરુણ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ડભોડા પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં અડાલજ કેનાલ વિસ્તારમાંથી માસૂમ બાળકની લાશ મળી આવી છે. પ્રેમી પંખીડા બે દિવસથી ઘરેથી ગાયબ હતા પુંદ્રા ગામના પરિણિત યુવક અને પ્રાંતિજ પાસેના ગામની વતની (પુંદ્રામાં સાસરી ધરાવતી) પરિણીતા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો. બંને પ્રેમી પંખીડા છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગયા હતા. પરિણીતા પોતાની સાથે પોતાના દોઢ વર્ષના દીકરાને પણ લઈ ગઈ હતી. ગઈકાલે સાંજે કરાઈ નર્મદા કેનાલ કિનારેથી બિનવારસી બાઇક મળી આવતા પરિજનોને શંકા ગઈ હતી. આથી તેમણે તાત્કાલિક ડભોડા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કેનાલમાં સર્ચ ઓપરેશન અને કાર્યવાહી ડભોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, કેનાલમાં પાણીનો વહેણ અત્યંત તીવ્ર હોવાના કારણે સર્ચ ઓપરેશનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. બીજા દિવસે પણ સતત તપાસ ચાલુ રખાઈ હતી, જેમાં અડાલજ કેનાલ વિસ્તારમાંથી દોઢ વર્ષના બાળકની લાશ મળી આવી છે. હજુ સુધી પ્રેમી યુગલનો કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં યુગલની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. યુગલનો પત્તો મળ્યા બાદ તેમજ પરિજનોની વિસ્તૃત પૂછપરછ પછી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar