top
સ્માશનગૃહને તસ્કરોએ ટાર્ગેટ કર્યું:ઇસનપુર સ્મશાનમાંથી ચોર મૃતકોની અંતિમયાત્રામાં આવેલ કાસા, પિત્તળ અને સ્ટીલના વાસણોની ચોરી કરી ફરાર
અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, પરંતુ હવે તસ્કરોએ સ્મશાનગૃહને પણ નિશાન બનાવવાનું શરૂ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાંથી મૃતકોની અંતિમયાત્રા દરમિયાન સંબંધીઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા કાસા, પિત્તળ અને સ્ટીલના વાસણો ભરેલા કોથળાની ચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂજારી પરિવાર મરણ પ્રસંગ અર્થે બહાર ગયો હતો તે દરમિયાન અજાણ્યા તસ્કરો આશરે ₹30,000 ની કિંમતના વાસણો ચોરીને ફરાર થઈ જતાં ઇસનપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અંતિમયાત્રામાં આવેલા વાસણો મકાનની છત પર સાચવીને રાખ્યા હતા ઇસનપુર સ્મશાનગૃહ પરિસરમાં રમેશભાઈ વેગડ પોતાના પરિવાર સાથે રહે છે અને ત્યાં આવેલા મંદિરમાં પૂજારી તરીકે સેવા આપવાની સાથે સમગ્ર સ્મશાનગૃહની દેખરેખ રાખે છે. હિન્દુ રીતિરિવાજ મુજબ કોઈપણ મૃતકની સ્મશાનયાત્રા આવે ત્યારે સ્વજનો દ્વારા દાનમાં આપવામાં આવતા કાસા, પિત્તળ તેમજ સ્ટીલના વાસણો પૂજારી દ્વારા એક મોટા કોથળામાં ભરીને મકાનની છત પર સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા. પરિવાર વાસણા ગયો અને પાછળથી તસ્કરોએ હાથફેરો કર્યો ગત 27 ઓગસ્ટના રોજ પૂજારી રમેશભાઈ પોતાના પરિવાર સાથે વાસણા ખાતે આવેલી પોતાની બહેનના ઘરે મરણ પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે પૂજારીના પુત્રનું ધ્યાન ઘરની પાછળ અસ્તવ્યસ્ત પડેલા કેટલાક વાસણો પર પડ્યું હતું. પુત્રએ આ અંગે પૂજારીને જાણ કરતાં તેમણે તાત્કાલિક મકાનની છત પર જઈને તપાસ કરી હતી, જ્યાં ₹30,000 ની કિંમતના કિંમતી ધાતુના વાસણો ભરેલો આખો કોથળો ગાયબ જોવા મળ્યો હતો. ઇસનપુર પોલીસે ગુનો નોંધી અજાણ્યા ચોરની શોધખોળ શરૂ કરી સ્મશાનગૃહ પરિસરમાં રહેણાંક મકાનની છત પરથી વાસણોની ચોરી થઈ હોવાની ખાતરી થતાં પૂજારી રમેશભાઈ વેગડે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ચોરીની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને સ્મશાનગૃહ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સ્થાનિક બાતમીદારોના આધારે તસ્કરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar