politics
નીતિન પટેલે રોહન ગુપ્તાને શુભેચ્છા કેમ ન પાઠવી?:કહ્યું, ‘હું તેમને ઓળખતો નથી, તેઓ પણ મને ઓળખતા નથી’
રાષ્ટ્રીય ભાજપમાં ગુજરાતના ચાર નેતાઓને નવી જવાબદારીઓ આપવામાં આવી છે જેમાંથી ત્રણ નેતાઓને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છા પાઠવી છે. કડી તાલુકાના વિસતપુરા ગામના વતની અને અમદાવાદના અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ ઈશ્વરભાઈ પટેલની ભાજપના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂક, સુરેન્દ્રનગરનાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશીની ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે નિમણૂક તથા વડોદરાના હેમાંગભાઈ જોષીની ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક બદલ નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા હતા. જોકે, ભાજપની આ નવી નિમણૂકોમાં રોહન ગુપ્તાને નીતિન પટેલે શુભેચ્છા કેમ પાઠવી નથી તે અંગે સવાલ થતાં નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું રોહન ગુપ્તાને ઓળખતો નથી અને રોહન ગુપ્તા પણ મને ઓળખતા નથી. કંકોત્રી વગર કોઈના લગ્નમાં ન જવાય ને! હું તેમને કોઈ દિવસ મળ્યો નથી એ પણ મને ક્યારેય મળ્યા નથી અને મને તેમનો પરિચય જ નથી, આ ત્રણેયને હું ઓળખું છું એટલે મેં તેમને શુભેચ્છા પાઠવી છે.” નીતિન પટેલની આ ટિપ્પણીથી ભાજપના નવા સંગઠનાત્મક ફેરફારો વચ્ચે તેમની શુભેચ્છા પાછળનો વ્યક્તિગત પરિચય પણ ચર્ચામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar