top
વલસાડમાં ઔરંગા નદીનો ઓવારો જર્જરિત બન્યો:ગણેશ મંડળો ચિંતામાં, કલેક્ટરને આવેદન આપી તાત્કાલિક દુરસ્તીની માગ કરી
વલસાડ શહેરમાં ગણેશોત્સવ પહેલા ગણેશ મંડળો અને ભક્તો માટે મુશ્કેલી ઉભી થઈ છે. તાજેતરમાં આવેલા ભારે પૂરને કારણે ઔરંગા નદીનો ઓવારો અને ત્યાં જવાનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ કારણે વલસાડ શહેરના અલગ અલગ ગણેશ મંડળોના આયોજકો ભેગા થયા હતા. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી. ગણેશ મંડળના આયોજક રાજેશ પટેલે નગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, પૂર આવ્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. છતાં સ્થાનિક નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કે સમારકામની કોઈ કામગીરી શરૂ કરાઈ નથી. ઔરંગા નદીના ઓવારાની હાલત એટલી ખરાબ છે કે વિસર્જન સમયે ક્રેન પણ ત્યાં જઈ શકે તેમ નથી. ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જો તાત્કાલિક રસ્તો અને ઓવારો બરાબર નહીં કરાય તો મોટી મુશ્કેલીઓ થશે. આયોજક બકુલ જોશીએ જણાવ્યું કે, દર વર્ષે શાંતિ સમિતિની બેઠક કે સામાન્ય દિવસોમાં નગરપાલિકા અને રાજકારણીઓ સામે રજૂઆતો કરાય છે. પણ આ વખતે પૂરને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આથી બધા મંડળોએ ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપવું પડ્યું છે. જિલ્લા કલેક્ટરે ગણેશ મંડળોની રજૂઆત સાંભળી. તેમણે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી તમામ મદદ અને તાત્કાલિક કામગીરી કરવાની હકારાત્મક ખાતરી આપી છે.
Read full article on Divya Bhaskar