politics
નવસારીમાં કોંગ્રેસની મૌન રેલી યોજાઈ:મહાપુરુષોની પ્રતિમાની ઉપેક્ષા અને ખડગેના અપમાનનો વિરોધ કરાયો
નવસારી શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનુભાવોની પ્રતિમાઓની ઉપેક્ષા અને રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે જોડાયેલા તાજેતરના વિવાદના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ઇન્દિરા ગાંધીની પ્રતિમાથી શરૂ થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી. કાર્યક્રમ દરમિયાન નવસારી શહેર કોંગ્રેસના અગ્રણીઓએ સ્થાનિક શાસકો અને વર્તમાન સત્તાધારી પક્ષની વિચારધારા સામે પ્રહારો કર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટે જણાવ્યું હતું કે, નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં મહાપુરુષોની પ્રતિમાઓના અનાવરણ બાદ સંબંધિત સમાજના લોકોએ દૂધ અને પાણીથી સ્નાન કરાવીને તેની શુદ્ધિ કરવી પડે તેવી સ્થિતિ છે. તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની નિયમિત સાફ-સફાઈમાં પાલિકા તંત્રની નિષ્ફળતાનો આક્ષેપ કર્યો હતો. બારોટે ઉમેર્યું હતું કે, જો નવસારી નગરપાલિકા આ મહાનુભાવોની શાન અને સન્માન જાળવી શકતી ન હોય, તો કોંગ્રેસ પક્ષ દર મહિને એક વ્યક્તિને રોકીને તમામ પ્રતિમાઓની નિયમિત સાફ-સફાઈ અને જાળવણી કરવાની જવાબદારી ઉપાડવા તૈયાર છે. તેમણે ચેતવણી આપી હતી કે, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા નેતાઓનું અપમાન કરતી નીતિઓ સામે પ્રજા આગામી સમયમાં ચોક્કસ જવાબ આપશે. નવસારી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ રાજન જોશીએ હલ્દવાની ખાતે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સંસદમાં લાંબા સમયથી સેવા આપતા વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના સંબોધન બાદ સ્થળનું ગંગાજળથી શુદ્ધિકરણ કરવાનું કૃત્ય બંધારણીય મૂલ્યોનું અપમાન છે. જોશીએ સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસ પક્ષ સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને બંધુત્વની વિચારધારા સાથે તમામ જ્ઞાતિ-સમાજના લોકોને એકતાના તાંતણે બાંધવામાં માને છે. તેમણે કહ્યું કે આ મૌન રેલી દ્વારા સમાજના વિવિધ વર્ગો એકત્ર થઈને બંધારણના રક્ષણ માટે આગળ આવ્યા છે. તેમણે શાસક પક્ષને ખુલ્લો વૈચારિક પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, બંધારણ અને દેશની અખંડિતતાનું અપમાન કરનારા તત્વો સામે લોકશાહી ઢબે લડત ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar