politics
સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડો:વિકાસકામોમાં બેદરકારી નહીં ચલાવી લેવાય, સમયસર કામ પૂરું ન કરનાર એજન્સીઓ સામે પગલાં લેવાશે: મંત્રી નિમુબેન બાંભણીયા
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને આજે ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી નિમુબેન બાંભણીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી આયોજન સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોની પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી યોજનાકીય કામગીરીનો અસરકારક અમલ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કામગીરીની સતત દેખરેખ રાખવા તાકીદ કરી હતી. નિયત સમયમર્યાદામાં કામ પૂર્ણ ન કરનાર એજન્સીઓ સામે તાકીદે કાર્યવાહી કરવા પણ તેમણે સૂચના આપી હતી. બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા યોજના, રેલવે સહિતની વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા દિશા કમિટીના આમંત્રિત સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દે રચનાત્મક સૂચનો કર્યા હતા. સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ યોજનાઓ હેઠળ થયેલી કામગીરી અને પ્રગતિની વિગતો રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ.મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાદેશિક કમિશનર સુનિલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી વિભાગના નિયામક જયશ્રીબેન જરુ સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar