top
ગોધરામાં બે અજાણ્યા પુરુષોના મૃતદેહ મળ્યા:નર્મદા કેનાલમાંથી રહસ્યમય સંજોગોમાં બન્નેની લાશ મળી, હત્યા કે આત્મહત્યા ? પોલીસ તપાસ શરૂ
ગોધરાના મોટી કાંટડી ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી બે અજાણ્યા પુરુષોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિકો દ્વારા જાણ કરાતા ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ડી-કમ્પોઝ થયેલી હાલતમાં રહેલા મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી કાકણપુર પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી અર્થે તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. કેનાલમાંથી મળી આવેલા મૃતદેહોની સ્થિતિ શંકાસ્પદ જણાઈ રહી છે. એક મૃતદેહના પેટના ભાગે પ્લાસ્ટિકની પાઇપ જોવા મળી હતી, જે સૂચવે છે કે તેની કદાચ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હશે. જ્યારે અન્ય એક પુરુષનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. પોલીસે આ બંને પુરુષો કોણ છે, તેઓ ક્યાંના રહેવાસી છે અને કેનાલમાં કેવી રીતે પડ્યા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના આપઘાત છે કે હત્યા, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ કાકણપુર પોલીસે મૃતદેહોની ઓળખ પ્રસ્થાપિત કરવા સહિતની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar