top
નખત્રાણાના યુવાને દાગીના-રોકડ ભરેલું પર્સ પરત કર્યું:માનકુવા રોડ પર મળેલું પર્સ મૂળ માલિકને સોંપ્યું
નખત્રાણાના એક યુવાને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓમ નીતિનભાઈ ઠક્કરને ભુજથી નખત્રાણા તરફ આવતી વખતે માનકુવા રોડ પર વૃંદાવન રિસોર્ટ નજીક રસ્તા પરથી એક પર્સ મળી આવ્યું હતું. આ પર્સમાં રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના હતા. ઓમ નીતિનભાઈએ પર્સ પોતાના પાસે રાખવાને બદલે તેના સાચા માલિક સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પર્સ મળ્યા બાદ તરત જ આસપાસ તપાસ કરી હતી, પરંતુ ટ્રાફિકના કારણે પર્સના માલિક નજરથી દૂર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ભાવનગરથી એક મહિલા રક્ષાબંધનના પર્વ નિમિત્તે માનકુવા ખાતે પોતાના ભાઈના ઘરે આવી હતી. તેઓ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું પર્સ રસ્તામાં પડી ગયું હતું, જેની તેમને જાણ નહોતી. ત્યારબાદ ઓમ નીતિનભાઈ પર્સ લઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. પર્સ ખોલીને તપાસ કરતાં તેમાં એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં મોબાઇલ નંબર લખેલો હતો. આ નંબરના આધારે તેમણે પર્સના માલિકનો સંપર્ક સાધ્યો હતો. પર્સમાં તપાસ કરતાં બે સોનાના બુટિયા, એક ચાંદીની વીંટી અને ₹1700 રોકડા મળી આવ્યા હતા. કિંમતી દાગીના અને રોકડ રકમ હોવા છતાં ઓમ નીતિનભાઈએ કોઈ લાલચ રાખ્યા વિના તમામ સામાન મૂળ માલિક સુધી પહોંચાડવા કાર્યવાહી કરી હતી. પર્સના માલિક પ્રદીપસિંહ ગોહિલ, મૂળ ભાવનગર, તરફથી તેમના પરિવારજનો દ્વારા પર્સ મેળવવામાં આવ્યું હતું. મહિલા વતી તેમના ભાઈ મનુભા ભગવાનજી જાડેજાએ નખત્રાણા ખાતે પહોંચી પર્સ પરત મેળવ્યું હતું. ઓમ નીતિનભાઈ ઠક્કરના આ કાર્યની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar