crime
પાટણમાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવાયું:અધૂરી કામગીરીના આક્ષેપ, અરજદારે આત્મવિલોપનની ચીમકી આપી
પાટણ શહેરની ઇન્દ્રપુરી સોસાયટીમાં કલેક્ટરના આદેશ બાદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, અરજદારે તંત્ર પર અધૂરી કામગીરી અને પક્ષપાતનો આક્ષેપ કરીને બાકીનું દબાણ નહિ હટાવાય તો હાઇકોર્ટમાં જવાની તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાટણ શહેરના નારી હોસ્પિટલ પાછળ આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા વિજય સુરેશ સોલંકી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની રજૂઆત સામે રહેતા અરજદાર મેહુલ પરમારે જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં કરી હતી. વર્ષ 2023માં મકાન બનાવવા માટે 63 વાર અને 7 મીટર ઊંચાઈની મંજૂરી મેળવાઈ હતી, પરંતુ કોમન પ્રોપર્ટી અને રસ્તા પર દબાણ કરીને કુલ 92 વારનું બિનઅધિકૃત બાંધકામ કરી દેવાયું હતું. અવારનવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાતાં જિલ્લા કલેક્ટરે દબાણ તોડી પાડવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને બાંધકામ જેસીબીથી દૂર કરવામાં આવ્યું હતું. કાર્યવાહી બાદ અરજદાર મેહુલ પરમારે નગરપાલિકાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ અધૂરું કામ કરીને જતા રહ્યા છે. જે મુખ્ય બાંધકામ અને પિલરો તોડવાના હતા તે તોડવામાં આવ્યા નથી અને માત્ર ખૂણાનો કટકો જ તોડીને કામગીરી પૂર્ણ બતાવવામાં આવી છે. પરમારે તંત્ર પર નાણાકીય વ્યવહાર અથવા દબાણ હેઠળ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે અથવા આત્મવિલોપન કરીને પણ બાકીનું 29 વારનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવશે.
Read full article on Divya Bhaskar