crime
'પેપર મિલની દુર્ગંધથી બાળકો સ્કૂલમાં બેભાન થઈ જાય છે':મહેસાણામાં ટ્વીલાઈટ ક્રાફ્ટ સામે બે ગામના લોકો ફરી મેદાને, વિદ્યાર્થિનીએ કહ્યું-તાવ-ચક્કર આવતા 2 દિવસ બાટલા ચડાવવા પડ્યા
મહેસાણા તાલુકાના સામેત્રા અને મરેડા પંથકમાં ખાનગી પેપર મિલના પ્રદૂષણ સામે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલમાંથી કેમિકલયુક્ત દુર્ગંધ આવતી હોવાના કારણે સ્થાનિકો અને શાળાના વિદ્યાર્થીઓ ગંભીર રીતે બીમાર પડી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકોને ચક્કર આવવા, ગભરામણ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટીઓ થવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાની નોબત પણ આવી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, પ્રદૂષણથી કંટાળીને સામેત્રા, મરેડા અને આસપાસના ગામના વાલીઓએ ફેક્ટરી કાયમી ધોરણે બંધ ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનો મક્કમ નિર્ણય લઈ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. 'રીક્ષાઓ અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય' શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ અને વાલીઓના જણાવ્યા મુજબ, વર્ગખંડના બારી-બારણાં બંધ રાખવા છતાં ઝેરી દુર્ગંધ અંદર સુધી આવે છે, જેના કારણે હાલમાં ચાલી રહેલી પરીક્ષાઓ અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અશક્ય બની ગયું છે. વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા સહન કરી રહ્યા છીએ, ચક્કાજામ અને કલેક્ટર કચેરીએ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. બાળકોના શિક્ષણ કરતાં તેમનું આરોગ્ય વધુ મહત્વનું હોવાથી આખરે તમામ પ્રાથમિક અને હાઈસ્કૂલના બાળકોને ઘરે બેસાડી દેવાનો વાલીઓએ આકરો નિર્ણય લીધો છે. 'બાળકો શાળામાં બેભાન થઈ જાય છે' ગીતાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, સામેતરા હાઈસ્કૂલની બાજુમાં પેપર મિલ છે ફેક્ટરી, એની એટલી અતિશય દુર્ગંધ આવે કે હવે તો ત્રણ વર્ષ થઈ ગયા, આ ચોથું વર્ષ છે. હવે તો બાળકો શાળામાં બેભાન જ થઈ જાય છે. 24 કલાક દુર્ગંધથી એટલા પરેશાન છીએ કે, લોકોએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી આ પેપર મિલ બંધ નહીં થાય, ત્યાં સુધી અમારા ગામનું કોઈ બાળક શાળામાં નહીં આવે. અમારે એમના શિક્ષણ કરતાં પહેલું એમનું આરોગ્ય મહત્વનું છે. ચક્કર, ઉલટી, બેભાન થવું, આંખોય બળવી, ગળું બળવું, શરદી તો કોઈને મટતી જ નથી. 'વૃક્ષો વાવો'ને પર્યાવરણ સુધારો. શું સુધારવાનું' વધુમાં ગીતાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સરકાર ઘોર નિંદ્રામાં છે, સરકારને કોઈ બાળક કે કોઈ લોકોના આરોગ્યની પડી જ નથી. ફક્ત મોટી મોટી વાતો કરે છે અધિકારીઓ. છેલ્લે રોડ ચક્કાજામ સુધી કર્યું હતું, છતાં પણ એનો કોઈ નિર્ણય નથી આવ્યો એટલે આજે મરેડા અને સામેતરાની હાઈસ્કૂલ બંધ છે અને કાલે ગોકળગઢને એ પણ બંધ રહેશે. બાળકોનું ભવિષ્ય બગાડશે એની તમામ જવાબદારી સરકારની રહેશે. કેમ કે આ પરીક્ષાનો સમય છે. શિવરામ ભાઈએ જણાવ્યું હતું કે, એક બાજુ સરકાર કહે, વૃક્ષો વાવો'ને પર્યાવરણ સુધારો. શું સુધારવાનું. જ્યાં સુધી અમારો ચુકાદો નહીં આવે, ફેક્ટરી બંધ નહીં કરે, ત્યાં સુધી કોઈ છોકરા સ્કૂલે જશે નહીં. શાળાના આચાર્ય હિરલબેને જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રાથમિક શાળામાં 119 બાળકો છે. ફેક્ટરીના લીધે, એના લીધે બાળકોને તકલીફો રહે છે. જેના કારણે વાલીઓ બાળકોને આજે શાળામાં મોકલ્યા નથી. શ્વાસની તકલીફ વધારે થાય છે. પછી બીજું ચક્કર જેવી તકલીફ, શરદી, એલર્જી, સ્કીનની તકલીફ, એવા બધા તકલીફો જણાય છે.હાલ પરીક્ષા ચાલી રહી છે.જેથી બાળકોના ભણતર ઉપર અસર પડે છે. ચૌધરી જીલે જણાવ્યું હતું કે, હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. ફેક્ટરીની સ્મેલના કારણે અઠવાડિયાથી તાવ, ચક્કર આવે છે. અઠવાડિયાથી હું સ્કૂલ નથી ગઈ અને ઘરે જ છું અને ભણવામાં તકલીફ પડે છે. સ્કૂલમાં તો રહેવાતું જ નથી. મહેસાણા હોસ્પિટલમાં દાખલ કરીને બે દિવસ બાટલા ચડાવ્યા પડ્યા હતા. ઠાકોર નવ્યાએ જણાવ્યું કે, હું સામેત્રાની સ્કૂલમાં ભણું છું. બાજુમાં એક ફેક્ટરીના કેમિકલની દુર્ગંધના કારણે અમને શ્વાસ લેવામાં તકલીફની સાથે ભણવામાં પણ તકલીફ પડે છે. અમને બારી-બારણાં બધું બંધ કરીને ભણાવે છે, તોય પણ ફેક્ટરીમાંથી દુર્ગંધ આવે છે. GPCBના અધિકારી એન.પી.ચૌધરી જણાવ્યું કે, સામેત્રા અને મરેડાની બાજુમાં ટ્વિલાઇટ પેપર મિલ કરીને કંપની છે. આ પેપર મિલમાંથી દુર્ગંધ આવવાની અહીંયા અવારનવાર અમને કચેરીએ ફરિયાદો મળતી હોય છે. જેની સમયાંતરે અમે તપાસ કરતા હોઈએ છીએ અને દુર્ગંધ રોકવા માટે જરૂરી સૂચનો છે તે ઉદ્યોગ જોડે એનું પાલન કરાવતા હોઈએ છીએ. એ સિવાય દુર્ગંધ રોકવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એને ક્લોઝર હુકમ આપેલો હતો. એ ક્લોઝર હુકમની સામે અપીલ કરેલી હતી એકમ દ્વારા, જે નામદાર હાઈકોર્ટમાં પડતર છે. ત્યારબાદ SDM કચેરીથી પ્રાંત અધિકારીએ એને પબ્લિક ન્યુસન્સ અંતર્ગત, રોકવા બંધનો હુકમ કર્યો હતો. જેની સામે એકમે અપીલ કરી અને નામદાર હાઈકોર્ટમાંથી એની સામે સ્ટે મેળવેલો છે. અત્યારે મેટર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાં પડતર છે.
Read full article on Divya Bhaskar