politics
પ્રામાણિક અધિકારીની બદલી રોકવા સરપંચો મેદાને:ચોટીલા પ્રાંત અધિકારીને યથાવત રાખવા કલેક્ટરને રજૂઆત
સુરેન્દ્રનગર: ચોટીલા પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની મહીસાગર ખાતે થયેલી બદલી રોકવા માટે સ્થાનિક સરપંચો અને ગ્રામજનોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ રજૂઆતમાં એચ.ટી. મકવાણાને ચોટીલા પ્રાંત અધિકારી તરીકે યથાવત્ રાખવાની માંગ કરવામાં આવી છે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એચ.ટી. મકવાણાએ ચોટીલા, થાન અને મૂળી પંથકમાં ફરજ દરમિયાન ગેરકાયદે ખનન અને ખનિજ ચોરી જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીને કારણે સરકારી જમીનને થતું નુકસાન અટકાવવામાં મદદ મળી હોવાનો દાવો રજૂઆતમાં કરાયો છે. આ ઉપરાંત, તેમણે શિક્ષણ, આરોગ્ય, મધ્યાહન ભોજન અને રાશન વિતરણ સહિતના વિવિધ વહીવટી વિભાગોની કામગીરીનું નિયમિત માર્ગદર્શન અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ગરીબ પરિવારોની જમીન પચાવી પાડવાના પ્રશ્નો અને ઘરવિહોણા પરિવારોને જમીન ફાળવણી જેવા મુદ્દાઓના નિરાકરણ માટે પણ અધિકારીએ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે. સરપંચો અને નાગરિકોના મતે, એચ.ટી. મકવાણાની કડક અને નિષ્પક્ષ કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવ્યો હતો. તેમની કામગીરીથી સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ ઓછી થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમની બદલીથી લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં નાયબ કલેક્ટરોની મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે, જેમાં એચ.ટી. મકવાણાનો પણ સમાવેશ થાય છે. જોકે, સ્થાનિક લોકો અને સરપંચોએ તેમની બદલી સામે વિરોધ નોંધાવ્યો છે. રજૂઆતમાં જિલ્લા કલેક્ટરને સ્થાનિક લોકોની લાગણી અને માંગને ધ્યાનમાં લઈ એચ.ટી. મકવાણાની બદલી અટકાવી તેમને ફરીથી ચોટીલા પ્રાંત અધિકારી તરીકે યથાવત્ રાખવા વિનંતી કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar