top
'પ્રોજેક્ટ ઓફિસરે પત્નીની સંસ્થાને 82.57 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દીધો':પાર્થિવરાજસિંહે કહ્યું-ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામને ફેમિલી બિઝનેસ બનાવ્યો, ગુનો નોંધવા કોંગ્રેસની માગ
ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કેગના રિપોર્ટના આધારે ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામમાં 82.57 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ડાયાલિસ પ્રોગ્રામના પ્રોજેક્ટ ઓફિસર કિરણ પરીખે પોતાની જ પત્નીની સંસ્થા બાયો ટ્રસ્ટ મેડિકલ ડીવાઈસીસને 82.57 કરોડના વિવિધ કોન્ટ્રાક્ટો આપી દીધા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. પ્રોજેક્ટ ઓફિસરના પિતા અને ભાઈઓનું પણ આ પ્રોજેક્ટમાં ખરીદી સંબંધિત ખાતાઓમાં પોસ્ટીંગ હોવાનો આક્ષેપ થયો છે. જેથી સમગ્ર ભ્રષ્ટાચારની તપાસ કરી તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. '82 કરોડથી પણ વધુ રકમના કામ પધરાવી દીધા' કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, કેગના અહેવાલમાં ગુજરાતના આરોગ્ય વિભાગનો એક ચોંકાવનારો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ જેઓ પહેલા ટેકનિકલ ઓફિસર હતા અને ત્યારબાદ પ્રોજેક્ટ ઓફિસર બન્યા, તે કિરણ પરીખે પોતાની જ પત્નીની કંપની 'બાયો ટ્રસ્ટ મેડિકલ ડિવાઈસીસ' ને 82.57 કરોડ રૂપિયા એટલે કે 82 કરોડથી પણ વધુ રકમના કામ પધરાવી દીધા છે. જ્યારે આ બાબતે વહીવટી તંત્રને પૂછવામાં આવ્યું, ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો કે કિરણ પરીખના પિતા અને ભાઈઓ પણ ખરીદી કરતા વિભાગમાં કામ કરતા હતા. આમાં કોઈની મોટી મિલીભગત હતી? 'જે પ્રોજેક્ટ ઓફિસરની પત્નીને આ કરોડોનો કોન્ટ્રાક્ટ આપનારા તેમના પતિ, સસરા અને દિયર જ હતા. ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામને જાણે એક ફેમિલી બિઝનેસ બનાવી દેવામાં આવ્યો હતો. આ આખો ભ્રષ્ટાચાર કોઈ ટૂંકા ગાળામાં નથી થયો, પરંતુ 2016-17 થી લઈને 2025 સુધીના લગભગ 10 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન સતત ચાલતો રહ્યો છે. આટલા વર્ષો સુધી શું ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામના કોઈ અધિકારીઓ, આરોગ્ય વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ કે આના પર દેખરેખ રાખતા ડૉક્ટરોમાંથી કોઈનું પણ ધ્યાન આ ભ્રષ્ટાચાર પર ન ગયું? કે પછી આમાં કોઈની મોટી મિલીભગત હતી? 'ઘરના ભુવા અને ઘરના ડાકલા' જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.' 'ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે' 'યોગ્ય તપાસની સાથે સાથે કડક કાર્યવાહીની માંગને લઈને પાર્થિવરાજસિંહ કઠવાડીયા જણાવે છે કે, કેગના અહેવાલમાં આ કૌભાંડના પાકા પુરાવા તરીકે જીએસટી નંબરની વિગતો, ઈમેલના પુરાવા અને ફાઈલોની ચોક્કસ માહિતી સામેલ છે, જેના આધારે જ આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અમારી સ્પષ્ટ માગણી છે કે સરકાર આ બાબતમાં તાકીદે તપાસના આદેશ આપે અને જનતાના ટેક્સના પૈસાનો આ રીતે ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.' 'આ લોકોને કોણ બચાવી રહ્યું હતું?' 'જેમણે સરકારી નાણાંનો દુરુપયોગ કરીને પોતાનો અંગત ફાયદો મેળવ્યો છે, તેમની સામે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની ફરિયાદ થવી જોઈએ. કૌભાંડમાં માત્ર નોકરીમાંથી છૂટા કરવા કે રાજીનામું લઈ લેવાથી પતશે નહીં. ગુજરાતની જનતા માટે આજે સૌથી મોટો સવાલ એ જ છે કે આ 82 કરોડનો ભ્રષ્ટાચાર કોના પાપે અને કોના ઈશારે થયો છે? અને આ લોકોને કોણ બચાવી રહ્યું હતું?'
Read full article on Divya Bhaskar