crime
પુત્રીની હત્યા કરી મૃતદેહને ફ્રીજમાં બેસાડ્યો, શણગાર પણ કર્યો:હાર પહેરાવી મોઢામાં તુલસીપાન મૂક્યું, પિતા પણ હાથ-પગમાં મોજા પહેરી લટકી ગયા, સાવરકુંડલામાં હ્રદય કંપાવતી ઘટના
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં રહેણાક મકાનમાંથી પિતા-પુત્રીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પિતાએ પોતાની માસૂમ પુત્રીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ફ્રિજમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી . ફ્રિજમાં શણગારેલી હાલતમાં દીકરી મૃત મળી આવી છે અને રૂમમાં હાથ-પગમાં મોજા પહેરેલા અને મોઢું ઢાંકેલું હતું એવી ગળેફાસો ખાધેલી હાલતમાં પિતાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનામાં મૃતક પિતાએ આપઘાત કરતાં પહેલા લખેલી ત્રણ ચિઠ્ઠી મળી આવી છે, જેમાં તેણે દીકરીને મારીને ફ્રીજમાં મૂકી હોવાનું લખ્યું છે, સાથે દીકરીની હત્યા અને પોતાની આત્મહત્યાનું કારણ પૈસાની લેવડ-દેવડ હોવાનું જણાવ્યું છે. પિતાનો લટકતો મૃતદેહ મળ્યો હાડીડા ગામે ભાડાના મકાનમાં રહેતા કિશોરભાઈ નાથાભાઈ ધાણક બાંધકામની સાઇડ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. ગઈકાલે 16 સપ્ટેમ્બરે કિશોરભાઈ પૈસાની ઉઘરાણી માટે મહુવા ગયા હોવાનું જણાવી ઘરની બહાર નીકળ્યા હતા. સાંજના સમયે તેમની પત્ની મંજુબેન તથા સગા-સંબંધા મકાને પહોંચતાં ઘર અંદરથી બંધ હતું. ઘણું બોલાવવા છતાં કોઈ પ્રતિસાદ ન મળતાં સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર પ્રવેશતાં જ કિશોરભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ફ્રીજમાં બેસેલી અવસ્થામાં મૃત દીકરી મળી ઘટનાસ્થળેથી 5 વર્ષની દીકરી હિમાંશી ઉર્ફે દીકુ ગાયબ હોવાથી શોધખોળ શરુ કરાઈ હતી. ફ્રીજમાં બેસેલી અવસ્થામાં આ દીકરી મૃત હાલતમાં મળી આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આ દીકરીના મૃતદેહને સમાધિ આપી હોય એ રીતે આસન પર બેસાડી હતી અને ઢળી ન જાય એ માટે આજુબાજું ઓશિકાના ટેકા મૂક્યા છે. દીકરીના મોઢામાં તુલસી જેવું પાંદડું મૂક્યું છે. સાથે ગલગોટાના ફૂલનો હાર પહેરાવ્યો છે અને માથે માતાજીના ફોટાને ઓઢાવડવામાં આવે એવી ચૂંદડી ઓઢાડી છે. દીકરીના બંને હાથ ભેગા કરીને તેના હાથમાં પણ કાઈક મૂકવામાં આવ્યું હતું. ત્રણ સુસાઈડ નોટમાં દર્દનાક ખુલાસો પોલીસને ઘટનાસ્થળેથી કિશોરભાઈએ લખેલી ત્રણ અલગ-અલગ સુસાઈડ નોટ મળી આવી હતી. ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે બાકી પૈસા ન મળતા આર્થિક તંગીથી કંટાળીને તેઓ આ પગલું ભરી રહ્યા છે. પોતાના મૃત્યુ પછી દીકરી અનાથ અને દુઃખી ન થાય તે માટે તેમણે દીકરીને પણ પતાવી દીધી હોવાની અને ફ્રિજમાં મૂકી હોવાની વિગતો લખી માફી માંગી હતી. કિશોરભાઈએ દીકરીના મોં પર આડો હાથ દઈ શ્વાસ રુંધાવી તેની હત્યા કરી મૃતદેહને ફ્રિજમાં છુપાવી દીધો હતો. તેમણે મહુવા ખાતે કરેલા કામના બાકી નીકળતા નાણાં તથા અન્ય ખર્ચના મળી આશરે 7 લાખ 25 હજાર લેવાના બાકી હતા. લાંબા સમયથી આ રકમ ન મળવાના કારણે અને પર્સનલ લોનનું ભારણ વધતાં પરિવાર ભારે નાણાકીય સંકટમાં મુકાયો હતો. પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ કિશોરભાઈની પત્ની મંજુબેન ધાણકની ફરિયાદના આધારે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103(01) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. PSI પી.એલ. ચૌધરી આ મામલે આગળની કાયદાકીય તપાસ ચલાવી રહ્યા છે.
Read full article on Divya Bhaskar