crime
રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ:દેવપુષ્પ મેડિકલમાં તોડફોડ કરનારા આરોપીઓ 60 કલાક બાદ ન ઝડપાતા કેમિસ્ટ એસોસીએશન મેદાને, પોલીસ કમિશનરને કડક કાર્યવાહી કરવા રજૂઆત
રાજકોટમાં દેવ પુષ્પ મેડિકલ સ્ટોર પર અસામાજિક શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલે શહેરના વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ બનાવને પગલે કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશનના હોદ્દેદારો વિરોધ નોંધાવવા અને યોગ્ય રજૂઆત કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા. પોલીસે 48 કલાકમાં આ સમગ્ર મામલે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ 60 કલાક જેટલો સમય વિતી ગયો હોવા છતાં અસામાજિક તત્વો સામે હજુ સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ તકે રાજકોટ પ્રમુખ,કેમિસ્ટ એસોસિએશનનાં પ્રમુખ મ્યુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ રાત્રિના સમયે મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં પણ ડર લાગી રહ્યો છે. તેમજ વેપારીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સતત વધતી જતી અસુરક્ષાની લાગણી વચ્ચે અમારી છે કે આવા અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડીને કડકમાં કડક પાઠ ભણાવવામાં આવે. વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવા હુમલાખોરો સામે દાખલારૂપ પગલાં ભરવા માટે પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બિહારમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ રાજકોટ ડિવિઝનની 2 ટ્રેનો ડાયવર્ટ કરાઈ પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર અને સોનપુર ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનો પર પ્રી-નોન ઇન્ટરલોકિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે નિર્ધારિત તારીખોએ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 25 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2026 ના રોજ વારાણસી જંક્શન-છપરા-શાહપુર પટોરી-બરૌની થઈને દોડશે. રૂટ બદલાવાને કારણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, પટના જંક્શન, બખ્તિયારપુર જંક્શન અને મોકામા જંક્શન પર આ ટ્રેનનું સ્ટોપેજ રહેશે નહીં. આ ઉપરાંત, ટ્રેન નં 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 19 અને 26 સપ્ટેમ્બર, 2026 ના રોજ વારાણસી જંક્શન-છપરા-શાહપુર પટોરી-બરૌની થઈને ચાલશે, જેથી પટના જંક્શન પર તેનું સ્ટોપેજ રહેશે નહીં. રાજકોટ રેલવે સુરક્ષા બળે મુસાફરના ખોવાયેલા રૂ. 25 હજારનાં AirPods શોધી મુસાફરને પરત સોંપ્યા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળે રેલ મદદ મારફતે મળેલી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરી મુસાફરના ખોવાયેલા રૂ. 25000ની કિંમતના Apple AirPods શોધીને પરત કર્યા છે. સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, મુસાફર વિશ્રુત જોશીએ 13 સપ્ટેમ્બર 2026ના રોજ સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં દ્વારકા સુધી પ્રવાસ કર્યો હતો. દ્વારકા સ્ટેશને ઉતર્યા બાદ તેમના રૂ. 25000ની કિંમતના AirPods સીટ પર જ રહી ગયા હોવાની જાણ થઈ હતી. તેમણે 14 સપ્ટેમ્બરના રોજ રેલ મદદ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ ઓખા આઉટ પોસ્ટના સહાયક સબ-ઇન્સ્પેક્ટર પ્રહલાદ બધારા અને સ્ટાફે ટ્રેન સુરક્ષા ટુકડીનો સંપર્ક કર્યો હતો. તપાસમાં માલૂમ પડ્યું કે આ AirPods સફાઈ કર્મચારીને મળ્યા હતા. સુરક્ષા બળે AirPods કબજે કરી મુસાફર ઓખા સ્ટેશને પહોંચતાં તેમને સુરક્ષિત સોંપી દીધા હતા. આ સામાન પરત મળતાં મુસાફરે આરપીએફનો આભાર માન્યો હતો. સૌરાષ્ટ્ર યુનિ. ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની 38મી વાર્ષિક સભા યોજાશે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની 38મી વાર્ષિક સાધારણ સભા અને તાજેતરમાં નિવૃત્ત થયેલા અધ્યાપકોનો અભિવાદન સમારોહ તા. 24 સપ્ટેમ્બરના રોજ સાંજે 4:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ ગેલેરીના સેમિનાર હોલ ખાતે યોજાશે.આ વિશેષ પ્રસંગે યુનિવર્સિટીના વિવિધ ભવનોમાંથી તાજેતરમાં નિવૃત્ત થયેલા 5 અધ્યાપકોનું તેમની દીર્ઘ સેવાઓ બદલ નિવૃત્તિ અભિવાદન કરવામાં આવશે. સમારોહમાં રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ વાર્ષિક સાધારણ સભામાં મંડળીની વર્ષ દરમિયાનની વિવિધ પ્રવૃત્તિઓ અને હિસાબો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારીઓ તથા મંડળીના હોદ્દેદારો અને કારોબારી સભ્યો બહોળી સંખ્યામાં હાજરી આપશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં કોરમના અભાવે નવી નિમણૂક અટકી: હવે પછી નવી તારીખ જાહેર થશે રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં હોદ્દેદારોની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની પસંદગી માટે વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાંત-1 અધિકારી અતુલસિંહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, બેઠકમાં જરૂરી ન્યૂનતમ સંખ્યામાં સભ્યોની હાજરી ન રહેતા કોરમના અભાવે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આગળ વધી શકી ન હતી. પરિણામે, વહીવટી તંત્ર દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક અંગેની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરવાની ફરજ પડી છે. આ બેઠક નિષ્ફળ જતાં સહકારી સંઘની નવી ટીમની રચના અટકી પડી છે. હવે વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ નિયત તારીખે ફરીથી ચૂંટણી બેઠક યોજીને સહકારી સંઘના નવા હોદ્દેદારોની નિમણૂક અંગેની આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Read full article on Divya Bhaskar