crime
રાજકોટમાં માતાના બેસણાના એક દિવસ પૂર્વે પુત્રનો આપઘાત:બે મહિના પૂર્વે પિતાનું બીમારી સબબ મોત થતા બે દિવસ પૂર્વે માતાએ આત્મહત્યા કરી લેતા જુવાન દીકરાએ પણ ઝેર પીધું
રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલા ગોપાલનગર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં કુદરતના વજ્રઘાત સમાન બનેલા બનાવોને કારણે એક હર્યોભર્યો પરિવાર વિખેરાઈ ગયો છે. માત્ર બે જ મહિનાના ટૂંકા ગાળામાં એક પછી એક પરિવારના ત્રણ મુખ્ય સ્વજનોની વિદાય થતાં કલ્પાંત સર્જાયો છે. જેમાં બીમારીના કારણે પિતાનું મોત થતા બે દિવસ પૂર્વે માતાએ કરેલા આપઘાતના કારણે માતાપિતાના વિયોગમાં આજ રોજ જુવાન દીકરાએ પણ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ જવા પામ્યો છે. આ કરુણ ઘટનાક્રમની શરૂઆત બે મહિના પહેલાં થઈ હતી જેમાં પરિવારના મોભી હિતેષભાઈ અમરશીભાઈ પરમારનું ગત 18 જૂન 2026ના રોજ ટૂંકી બિમારીના કારણે નિધન થયું હતું. તેમના પત્ની પારૂલબેન પરમાર સતત પતિના વિયોગમાં અને ભારે આઘાતમાં રહેતાં હતાં. પતિના વિયોગનું દુઃખ સહન ન થતાં પારૂલબેને 17 ઓગસ્ટ 2026ના રોજ પોતાના ઘરે ઘઉંમાં રાખવાનો ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો હતો. માત્ર બે જ મહિનામાં માતા પિતા ગુમાવી દેતાં પરિવારના 28 વર્ષના મોટા પુત્ર કરણ હિતેષભાઈ પરમાર માનસિક રીતે ભાંગી અને ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરિવાર દ્વારા મૃતક માતા પારૂલબેનનું બેસણું આગામી તારીખ 20 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું હતું. માતાનું બેસણું યોજાય તે પહેલાં કરણએ ગોંડલ ચોકડી નજીક વિરાણી અઘાટ પાસે, કામનાથ વે બ્રિજ સામે આવેલા પોતાના ગેસ વેલ્ડીંગના કારખાને પહોંચી માતા પિતાના વિયોગમાં સેલ્ફોસ નામનો અત્યંત ઝેરી પાવડર ગટગટાવી લીધો હતો જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ આજે સવારે સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. બનાવ અંગેની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર 28 વર્ષીય કરણ પરમાર બે ભાઈમાં મોટા અને અપરિણીત હતા. તેઓ પોતાના નાના ભાઈ સ્મિત પરમાર સાથે મળીને ગેસ વેલ્ડીંગનું કારખાનું ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ કુદરતી અને માનસિક આઘાતના માળા જેવા બનાવમાં સૌથી મોટી કરુણતા એ સામે આવી છે કે, પરિવારનો સૌથી નાનો સભ્ય સ્મિત પરમાર માત્ર બે મહિનાના સમયગાળામાં પિતા, માતા અને હવે પોતાના એકમાત્ર આધારસ્તંભ સમાન મોટા ભાઈ કરણને પણ ગુમાવી બેઠો છે. એક જ ઘરમાંથી બે મહિનામાં ત્રણ-ત્રણ અર્થીઓ ઊઠતાં અને માતાના બેસણાંના એક દિવસ પહેલાં જ જુવાનજોધ દીકરાની નિકળેલી અર્થી જોઈને સગા-સબંધીઓમાં ભારે કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
Read full article on Divya Bhaskar