crime
રાજકોટમાં સિટી બસ ચાલકની ગંભીર બેદરકારી:કેવડાવાડી મેઈન રોડ પર પાર્ક કરેલું ટુ-વ્હીલર અડફેટે લઇ યોગ્ય રીતે પાર્ક નહીં થયાનો કર્યો બચાવ, ઘટનાના CCTV સામે આવ્યા
રાજકોટમાં દિન-પ્રતિદિન સિટી બસ અને બીઆરટીએસ બસના ચાલકોની બેદરકારીની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના અત્યંત વ્યસ્ત અને ગીચ ગણાતા કેવડાવાડી રોડ પર રસ્તાના કિનારે પાર્ક કરેલા એક ટુ-વ્હીલરને પૂરપાટ ઝડપે આવતી સિટી બસે જોરદાર ટક્કર મારીને અડફેટે લીધું હતું. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ બનાવ બાદ ડ્રાઇવરે ટુ-વ્હીલર યોગ્ય રીતે પાર્ક નહીં કર્યું હોવાનો લુલો બચાવ કર્યો હતો. જેને લઈને સ્થાનિકોમાં તંત્ર તથા બસ ચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, કેવડાવાડી મેઈન રોડ પર વેપારીઓ અને ગ્રાહકો પોતાના વાહનો સામાન્ય રીતે રસ્તાની એક બાજુ પાર્ક કરતા હોય છે. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ટુ-વ્હીલર રસ્તાના કિનારે પાર્ક કરેલું હતું. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી રાજકોટ મહાપાલિકા સંચાલિત સિટી બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો અથવા ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને પાર્ક કરેલા બાઇકને ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટુ-વ્હીલર નીચે ફેંકાઈ ગયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માત સર્જાયો તે સમયે બાઇક પર કે તેની આસપાસ કોઈ વ્યક્તિ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જે બાદ ટુ-વ્હીલરના માલિક અને સિટીબસ ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સિટીબસ ચાલક સામે દલીલો કરી રહ્યો છે. બસ ડ્રાઇવરે પોતાનો બચાવ કરતા એવો આક્ષેપ કર્યો હતો કે ટુ-વ્હીલર ચાલકે વાહન અયોગ્ય રીતે (રોડ પર નડતરરૂપ) પાર્ક કર્યું હતું, જેના કારણે તેને ટર્ન લેવામાં કે બસ પસાર કરવામાં અડચણ આવી હતી અને આ અકસ્માત થયો હતો. સામે પક્ષે સ્થાનિકો અને બાઇક માલિકે આક્ષેપ કર્યો હતો કે બસ ચાલક બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો અને તેના કારણે જ આ નુકસાન થયું છે. સમગ્ર મામલે દિવ્યભાસ્કર સાથે કરેલી ખાસ ટેલિફોનિક વાતચીતમાં સિટિબસ સેવાનો હવાલો સંભાળતા ઈજનેર પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, ગીચ વિસ્તારમાં આ રીતે બાઇક પાર્ક કરવું અયોગ્ય છે. છતાં આ ઘટનામાં સીસીટીવી જોતા સિટીબસ ચાલકની પણ ભૂલ દેખાય છે. ત્યારે કોન્ટ્રાકટ અનુસાર તેની સામે શુ કાર્યવાહી કરી શકાય તેમ છે તે જાણીને નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સિટી બસ ડ્રાઇવરો દ્વારા નિયમોના ધજાગરા ઉડાડવા તેમજ આડેધડ વાહનો ચલાવવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. અગાઉ પણ શહેરમાં મહાપાલિકાની બસોના ડ્રાઇવરોની લાપરવાહીને કારણે નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. ત્યારે આજે વધુ એક ઘટનાના સ્પષ્ટ CCTV ફુટેજ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા બેદરકાર બસ ચાલક સામે ક્યારે અને શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
Read full article on Divya Bhaskar