top
રાજકોટ RPFની લોખંડી સુરક્ષા, 18 ચેઇન પુલર્સ દબોચાયા:ઓગષ્ટમાં મુસાફરોનો 2.59 લાખનો ખોવાયેલો-ચોરાયેલો સામાન પરત કર્યો, 6 લોકોનું પરિવાર સાથે મિલન
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા ઓગસ્ટ 2026 માસ દરમિયાન મુસાફરોની સુરક્ષા, જનસેવા તેમજ રેલ વ્યવહારની સલામતી માટે સરાહનીય કામગીરી કરવામાં આવી અને મુસાફરોને લોખંડી સુરક્ષા આપવામાં આવી રહ્યો છે. જેમાં “સેવા હી સંકલ્પ” ના મંત્ર સાથે 1થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન વિવિધ વિશેષ ઝુંબેશો ચલાવીને આરપીએફે તેની ઉત્કૃષ્ટ કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપતા મુસાફરોનો રૂ. 2.59 લાખનો ખોવાયેલો અને ચોરાયેલો સામાન પરત કર્યો હતો. અને વિખુટા પડેલા 6 લોકોનું પરિવાર સાથે મિલન કરાવવાની સાથે 18 ચેઇન પુલર્સને પણ દબોચ્યા હતા. જેનાથી મુસાફરોમાં સુરક્ષા-વિશ્વાસનો માહોલ વધુ મજબૂત બન્યો છે. ઓપરેશન અમાનત અને ગુમ થયેલા લોકોનું પુનર્મિલન મુસાફરી દરમિયાન ટ્રેનો કે સ્ટેશનો પર છૂટી ગયેલા કિંમતી સામાનને મુસાફરો સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ચલાવવામાં આવતા "ઓપરેશન અમાનત" અંતર્ગત આરપીએફે ઓગસ્ટ માસમાં કુલ 28 મુસાફરોનો રૂ. 2,59,215ની કિંમતનો સામાન શોધીને સંબંધિત માલિકોને પરત સોંપ્યો હતો. આ ઉપરાંત, માનવીય અભિગમ દાખવીને વિખૂટા પડેલા લોકોને મદદ કરવા માટે ચલાવાતા "ઓપરેશન નન્હે ફ્રિશ્તે" હેઠળ 1 બાળકને સુરક્ષિત રીતે તેના પરિજનો સાથે મેળવવામાં આવ્યું હતું. સાથોસાથ "ઓપરેશન ડિગ્નિટિ" અંતર્ગત વિવિધ કારણોસર પોતાના પરિવારથી અલગ થઈ ગયેલી 5 વ્યક્તિઓની ભાળ મેળવીને તેઓને પણ તેમના સ્વજનો સાથે પુનઃમેળવી આપવામાં આવ્યા હતા. ચેઇન પુલિંગ કરનાર 18 આરોપીઓની અટકાયત ટ્રેનોના નિર્ધારિત અને સમયબદ્ધ સંચાલનમાં બાધા ઊભી કરતી અનાધિકૃત ચેઇન પુલિંગની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે "ઓપરેશન સમય પાલન" હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝન અધિકારક્ષેત્રમાં પેસેન્જર ટ્રેનોમાં બિનજરૂરી ચેઇન પુલિંગના કુલ 28 કેસ નોંધાયા હતા, જેમાં તાત્કાલિક કાર્યવાહી કરીને 18 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમની સામે રેલવે એક્ટ મુજબ યોગ્ય કાયદાકીય કલમો હેઠળ પગલાં લેવાયા હતા. ઉપરાંત, રેલવેની મિલકતોનું રક્ષણ કરવા માટે ચલાવવામાં આવતા "ઓપરેશન રેલ સુરક્ષા" હેઠળ પણ સતર્કતા દાખવીને ચોરીના 1 કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડીને કાયદાકીય ગાળીયો મજબૂત કરવામાં આવ્યો હતો. ઓપરેશન જનજાગરણ અને વિવિધ સલામતી ઝુંબેશો રેલવે સુરક્ષા પ્રત્યે સામાન્ય જનતા અને મુસાફરોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ડિવિઝનની વિવિધ પોસ્ટ્સ અને ચોકીઓ દ્વારા "ઓપરેશન જનજાગરણ" અંતર્ગત વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન બેનરો, પોસ્ટરો અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ (PA System)નો ઉપયોગ કરીને લોકોને રેલવે લાઇન ઓળંગવાના જોખમો, ચાલુ ટ્રેન પર પથ્થરમારો ન કરવા, નશાની પ્રવૃત્તિઓથી દૂર રહેવા, મહિલા સુરક્ષા તેમજ માનવ તસ્કરી જેવા વિષયો અંગે પણ મુસાફરોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. વધુમાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને સ્થાનિક આગેવાનો સાથે વિશેષ બેઠકો યોજીને રેલવે સંપત્તિની સુચારુ સુરક્ષા અને અકસ્માતો નિવારવા માટે સહયોગ મેળવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar