crime
શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગનો એક્શન પ્લાન:ડ્રોનથી 24 કલાક મોનિટરિંગ, 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને સાયલન્ટ ઝોનનું આયોજન
પાલીતાણાના પવિત્ર યાત્રાધામ શેત્રુંજય પર્વત પર છેલ્લા કેટલાક સમયથી એશિયાટિક સિંહોની સતત મૂવમેન્ટ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે લાખો જૈન યાત્રાળુઓની સુરક્ષા તેમજ વન્યજીવોના સંરક્ષણને સુનિશ્ચિત કરવા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં આનંદજી કલ્યાણજી પેઢીના જૈન અગ્રણીઓ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પર્વત પર હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવાયો છે. ડ્રોનથી રાત-દિવસ ટ્રેકિંગ અને 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ, શેત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સલામતી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સિંહોની ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે ડ્રોન કેમેરા દ્વારા ૨૪ કલાક સ્કેનિંગ અને રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરાશે. પર્વત વિસ્તારમાં 4 પ્રી-ફેબ્રિકેટેડ વોચ ટાવર અને 4 સેન્ટર કમ કેબિન ઊભા કરવામાં આવશે. ટ્રેકિંગ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા સ્થાનિક યુવાનોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. સૂર્યોદય પછી યાત્રા શરૂ કરી સૂર્યાસ્ત પહેલાં પૂર્ણ કરવા અપીલ વન વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી શેત્રુંજય વિસ્તારમાં સિંહોની હાજરીનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સિંહ સામાન્ય રીતે મનુષ્યો પર સીધો હુમલો કરતો નથી, પરંતુ તેને છંછેડવામાં આવે કે રંજાડવામાં આવે ત્યારે જોખમ ઊભું થાય છે. વન્યજીવો અને યાત્રાળુઓ બંનેની સુરક્ષાના હિતમાં ભક્તો સૂર્યોદય બાદ યાત્રા શરૂ કરે અને સૂર્યાસ્ત પહેલાં પર્વત પરથી પરત ફરી જાય તે હિતાવહ રહેશે. શેત્રુંજય સુરક્ષા અને વ્યવસ્થાપન પ્લાન જૈન સમાજ અને વન વિભાગ વચ્ચે મજબૂત સંકલન ગત ફાગણ સુદ તેરસ (છ ગાઉ ફેરી) દરમિયાન વન વિભાગના સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરીને જૈન સમાજે બિરદાવી હતી. આનંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે યાત્રાળુઓ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે યાત્રા કરે જેથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સંસ્થા સતત જાગૃતિ ફેલાવી રહી છે. આ બેઠકમાં વન વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવ, હેડ ઓફ ધ ફોરેસ્ટ જયપાલસિંહ, ઉદ્યોગપતિ ડૉ. સુધીર મહેતા, ટ્રસ્ટી શ્રીપાલભાઈ, જૂનાગઢ સર્કલના CF મોહન રામ તેમજ ભાવનગર DFO યોગેશ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar