crime
સુરત RPFની કસ્ટડીમાં મોતને ભેટનાર નાઇજિરિયન હોવાનો ખુલાસો:મુંબઈમાં નોંધાયા હતા ડ્રગ્સ કેસ, ટ્રેનમાં ઝઘડા બાદ પૂછપરછમાં ઢળી પડ્યો; પીએમ બાદ એમ્બેસીને જાણ કરાઈ
મુંબઈથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરો વચ્ચે દરવાજે ઊભા રહેવા બાબતે થયેલી તકરાર બાદ સુરત રેલવે સ્ટેશન પર લાવવામાં આવેલા એક આફ્રિકન યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. સુરત RPF પોસ્ટમાં પૂછપરછ દરમિયાન યુવક અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં મૃતક નાઈજિરિયન નાગરિક હોવાનું અને અગાઉ મુંબઈમાં NDPS એક્ટ હેઠળ જેલ જઈ ચૂક્યો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. જનરલ કોચના દરવાજે ઊભા રહેવા બાબતે થઈ હતી ઝપાઝપી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરોની ભારે ભીડ હોવાથી દરવાજા પાસે ઊભા રહેવા તેમજ જગ્યા કરવા મુદ્દે મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. બનાવ અંગે RPF કંટ્રોલ રૂમ તરફથી સુરત સ્ટેશનને મેસેજ મળતાં જ RPF અને GRP ના જવાનોએ પ્લેટફોર્મ પર પહોંચી ટ્રેનમાંથી ઝઘડો કરી રહેલા આ વિદેશી નાગરિક સહિત 3 મુસાફરોને નીચે ઉતાર્યા હતા. RPF પોસ્ટમાં પૂછપરછ દરમિયાન અચાનક ઢળી પડ્યો પોલીસ જવાનો જ્યારે RPF પોસ્ટમાં ત્રણેય મુસાફરોની પ્રાથમિક પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે આ વિદેશી નાગરિક અચાનક ચક્કર ખાઈને બેભાન થઈ ગયો હતો. રેલવે હોસ્પિટલના ઓન-ડ્યુટી તબીબે તાત્કાલિક તપાસ બાદ તેને વધુ સારવાર અર્થે મોટી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક મુંબઈના બે ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂક્યો હતો સુરત રેલવે ડીવાયએસપી કચેરી તરફથી મળેલી માહિતી અનુસાર, મૃતકની પ્રાથમિક ઓળખ 32 વર્ષીય ચુકવુ એમેકા દાનિયલ અજાહ તરીકે થઈ છે. તે મૂળ નાઈજિરિયાનો રહેવાસી હતો અને હાલ મુંબઈ ખાતે રહેતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વર્ષ 2018 માં મુંબઈના માલવણી તથા ખાર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો અને બાદમાં જામીન પર મુક્ત થયો હતો. ડ્રગ્સના સેવનની આશંકા વચ્ચે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું કસ્ટોડિયલ ડેથનો મામલો હોવાથી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. મૃતકે કોઈ કેફી પદાર્થ, આલ્કોહોલ કે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહીં તે જાણવા માટે તેના લોહી અને પેશાબના નમૂના FSL માં મોકલાયા છે. ઉપરાંત હૃદય કે અન્ય આંતરિક અંગોની કોઈ બીમારી હતી કે કેમ તે ચકાસવા માટે હિસ્ટોપેથોલોજીકલ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર કોઈ ગંભીર બાહ્ય ઈજાના નિશાન મળ્યા નથી. LCB ની ટીમ મુંબઈ પહોંચી, એમ્બેસીને જાણ કરવાની તજવીજ મૃતક પાસેથી કોઈ પાસપોર્ટ કે વિઝા મળ્યા ન હોવાથી તેનો મોબાઈલ ફોન કબજે કરી ટેકનિકલ એનાલિસિસ હાથ ધરાયું છે. સમગ્ર નેટવર્ક અને વિગતો મેળવવા સુરત રેલવે LCB ની એક ટીમે મુંબઈમાં ધામા નાખ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ પશ્ચિમ રેલવે દ્વારા વિદેશ મંત્રાલયને સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે અને નાગરિકતા સ્પષ્ટ થતાં નવી દિલ્હી સ્થિત નાઈજિરિયન એમ્બેસીનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
Read full article on Divya Bhaskar