Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Tata Sons: ચંદ્રશેખરનના ચેરમેન પદને લઈને નોએલ ટાટાનું મોટું નિવેદન, જાણો શું છે મામલો

📰 Sandesh 🕐 1 min read 📅 September 17, 2026 👁 1 views
Tata Sons: ચંદ્રશેખરનના ચેરમેન પદને લઈને નોએલ ટાટાનું મોટું નિવેદન, જાણો શું છે મામલો
Tata Group: ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા સન્સની ગુરુવારે મુંબઈના બોમ્બે હાઉસ ખાતે બેઠક મળી હતી. તેમાં ટાટા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષના ત્રીજા કાર્યકાળ માટે ચેરમેન બનાવવાનો નિર્ણય કર્યો છે. જોકે, ચંદ્રશેખરને અગાઉ બોર્ડને કહ્યું હતું કે તેઓ પોતાનો બીજો કાર્યકાળ પૂરો થયા બાદ ચેરમેન તરીકે આગળ રહેવા માંગતા નથી. હવે ટાટા ટ્રસ્ટ્સના પ્રમુખ નોએલ એન. ટાટાએ કહ્યું છે કે ચેરમેન પદ છોડવાનો નિર્ણય ચંદ્રશેખરનનો પોતાનો હતો. હવે આગળ વધવાનો સમય આવી ગયો છે અને શેરધારકોએ તેમનો નિર્ણય સ્વીકારી લીધો છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સની 66 ટકા હિસ્સેદારી છે. નોએલ ટાટાએ શું કહ્યું? ટાટા ટ્રસ્ટ્સ તરફથી જાહેર કરાયેલા નોએલ ટાટાના નિવેદન મુજબ, 12 ઓગસ્ટ 2026ના રોજ ચેરમેન એન. ચંદ્રશેખરને બોર્ડને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમનો વર્તમાન કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027ના રોજ પૂરો થયા બાદ તેઓ આગામી કાર્યકાળ માટે પોતાનું નામ આગળ નહીં વધારે. આ તેમનો પોતાનો નિર્ણય હતો. બોર્ડે ચંદ્રશેખરનને નિર્ણય લેવા કહ્યું નહોતું નોએલ ટાટાના જણાવ્યા પ્રમાણે, ચંદ્રશેખરને આ નિર્ણય પોતાની ઈચ્છાથી લીધો હતો અને તેમણે તે અંગે સ્પષ્ટપણે જાણ કરી હતી. બોર્ડે તેમને આવું કરવા કહ્યું નહોતું અને આ અંગે બોર્ડમાં કોઈ પ્રસ્તાવ પણ પસાર થયો નહોતો. આ નિર્ણય કોઈ સમીક્ષા પ્રક્રિયાનું પરિણામ પણ નહોતો. નિવેદનમાં જણાવાયું છે કે આ પત્ર બાદમાં જાહેર કરવામાં આવ્યો હતો. નોએલ ટાટાના કહેવા પ્રમાણે, તેને કંપનીના શેરધારકો અને ખાસ કરીને ટાટા ટ્રસ્ટ્સ સાથે અગાઉ ચર્ચા કર્યા વગર જાહેર કરવામાં આવ્યો હતો. ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સની લગભગ 66 ટકા હિસ્સેદારી છે. નિર્ણય જાહેર થયા પછી પાછો ફેરફાર મુશ્કેલ નોએલ ટાટાએ કહ્યું કે તેઓ આ વાતને ફરિયાદ તરીકે રજૂ કરતા નથી. તેમના મતે, ચેરમેનને પોતાના ઈરાદા અંગે જણાવવાનો અધિકાર છે. પરંતુ જ્યારે આવો નિર્ણય જાહેર થઈ જાય છે, ત્યારે તેના કારણે ઊભી થયેલી અસરને બોર્ડ પછીથી સરળતાથી બદલી શકતું નથી. નિવેદન મુજબ, ગ્રુપના કર્મચારીઓ, ધિરાણ આપનારાઓ, બિઝનેસ પાર્ટનર્સ અને બજારે ચેરમેનના નિર્ણયને ધ્યાનમાં રાખીને આગળનાં પગલાં લીધાં છે. બહુમતી શેરધારકોએ પણ આ જ રીતે નિર્ણયને ધ્યાનમાં લીધો છે. નોએલ ટાટાએ કહ્યું કે હવે આગળ વધવાનો સમય છે અને બહુમતી શેરધારકોએ પણ આ નિર્ણય સ્વીકારી લીધો છે. નવા ચેરમેનની પસંદગી માટે સમિતિ બનાવવાની માંગ નોએલ ટાટાના જણાવ્યા પ્રમાણે, ટાટા ટ્રસ્ટે ચેરમેનના નિર્ણયને સ્વીકારી લીધો છે. તેમણે કંપનીને તેના નિયમો અનુસાર નવા ચેરમેનની પસંદગી માટે સિલેક્શન કમિટી બનાવવાનું કહ્યું છે. આ સ્વીકૃતિ અને વિનંતી સત્તાવાર રીતે નોંધવામાં આવી છે અને કંપનીને પણ જણાવવામાં આવી છે. નોએલ ટાટાના નિવેદન મુજબ, જો બેઠકમાં ચેરમેનને ફરીથી નિયુક્ત કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવે તો તેનો અર્થ એ થશે કે બોર્ડ ત્રણ બાબતોને અવગણી રહ્યું છે. ચેરમેન દ્વારા અગાઉ લેવામાં આવેલો પોતાનો નિર્ણય, બહુમતી શેરધારક એટલે કે ટાટા ટ્રસ્ટ્સ દ્વારા તે નિર્ણયને સ્વીકારવો અને નવા ચેરમેનની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવાની ટાટા ટ્રસ્ટ્સની વિનંતી. ચેરમેન બનવા માટે ડિરેક્ટર હોવું જરૂરી નોએલ ટાટાએ વધુ એક મહત્વના મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે. કંપનીના નિયમો મુજબ ચેરમેન તે જ વ્યક્તિ બની શકે છે જે કંપનીનો ડિરેક્ટર હોય. હાલ ચેરમેનના ડિરેક્ટર પદ અંગે પણ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. જે સામાન્ય બેઠકમાં આ મુદ્દે નિર્ણય થવાનો હતો, તે જરૂરી કોરમના અભાવે આગળ વધી શકી નહોતી. તેથી જ્યાં સુધી ડિરેક્ટર પદ અંગેનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી ચેરમેન પદ અંગે નિર્ણય લેવો ઉતાવળભર્યો બની શકે છે. કંપની સામે બે અલગ-અલગ મુદ્દા નોએલ ટાટાએ એક વ્યવહારુ અને કાનૂની ચિંતા પણ વ્યક્ત કરી છે. જો અત્યારે ચેરમેન પદ અંગે નિર્ણય લેવામાં આવે અને પછી ખબર પડે કે તે વ્યક્તિનું ડિરેક્ટર પદ જ સંપૂર્ણ રીતે સ્પષ્ટ અથવા માન્ય નહોતું, તો કોઈ શેરધારક આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે. તેમના મતે કંપનીએ પોતાને આવા કાનૂની પડકારના જોખમમાં ન મૂકવી જોઈએ. નોએલ ટાટાના જણાવ્યા પ્રમાણે, કંપની સામે લગભગ એક જ સમયે બે અલગ પ્રશ્નો આવ્યા છે. પહેલો પ્રશ્ન કંપનીની રચના અને નિયમનકારી સંસ્થા પ્રત્યેની જવાબદારીઓ સાથે જોડાયેલો છે. બીજો પ્રશ્ન કંપનીના નેતૃત્વ અને નવા ચેરમેનની પસંદગી સાથે જોડાયેલો છે. બંને મુદ્દાઓને અલગ રીતે જોવાની વાત બંને મુદ્દા એકસાથે સામે આવ્યા છે, પરંતુ બંને એકસરખા નથી. કંપનીની રચના અને માલિકી અંગેનો નિર્ણય RBIને આપવામાં આવેલી માહિતી, કંપની દ્વારા આપવામાં આવેલા કારણો અને તેને મળેલા સમયના આધારે થશે. જ્યારે કંપનીનું નેતૃત્વ કોણ કરશે તે નિર્ણય કંપનીના નિયમો અને નક્કી કરાયેલી પ્રક્રિયા પ્રમાણે થશે. નોએલ ટાટાએ વિનંતી કરી છે કે બંને મુદ્દાઓને એકબીજાના નિર્ણયનો આધાર ન બનાવવામાં આવે. નિયમનકારી સંસ્થા સાથે જોડાયેલી કોઈ બાબત નવા ચેરમેનની પસંદગીની પ્રક્રિયાને અસર ન કરે અને ચેરમેનની પસંદગીની પ્રક્રિયા પણ નિયમનકારી મામલામાં કંપનીના વલણને અસર ન કરે. ચંદ્રશેખરનના નિર્ણયને સ્વીકાર્યો હોવાનો દાવો નોએલ ટાટાએ કહ્યું કે બંને મામલા પોતાની રીતે મહત્વપૂર્ણ અને જટિલ છે. તેથી બંને અંગે ઉપલબ્ધ તથ્યો અને સંબંધિત નિયમોના આધારે અલગ-અલગ નિર્ણય લેવો જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે આ વાત કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી નથી અને તેઓ બંને મુદ્દાના સંભવિત પરિણામ અંગે કોઈ અભિપ્રાય આપી રહ્યા નથી. ટાટા ટ્રસ્ટ્સના જણાવ્યા પ્રમાણે, 12 ઓગસ્ટ 2026ના રોજ ચેરમેન દ્વારા આપવામાં આવેલી માહિતી સ્વીકારી લેવામાં આવી છે. ચેરમેન પોતાનો નિર્ણય જણાવી ચૂક્યા છે અને શેરધારકોએ પણ તેને સ્વીકારી લીધો છે. હવે નવા ચેરમેનની પસંદગીની પ્રક્રિયા તરફ આગળ વધવાનો સમય છે. આ પણ વાંચો: ટાટા સન્સના IPOનો રસ્તો ક્લિયર ! ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે સોંપાઇ કમાન
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan