business
TDS મીટર વગર ઘરે જ ચેક કરો RO પ્યોરિફાયર સાચું કામ કરે છે કે નહીં, જાણો આ સરળ રીતો
મોટાભાગના ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે RO (રિવર્સ ઓસ્મોસિસ) સિસ્ટમનો ઉપયોગ થાય છે. RO સિસ્ટમનું મુખ્ય કાર્ય પાણીમાં ઓગળેલા અનિચ્છનીય પદાર્થોને દૂર કરીને તેને પીવાલાયક બનાવવાનું છે. તે પાણીમાં ઓગળેલા ક્ષાર, ભારે ધાતુઓ અને અન્ય અશુદ્ધિઓના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ કરે છે. ફિલ્ટરેશન પ્રક્રિયા દરમિયાન, RO સિસ્ટમ અમુક પાણીને 'રિજેક્ટ વોટર' (બહાર નીકળતું નકામું પાણી) તરીકે બહાર કાઢે છે. જોકે સમય જતાં RO ફિલ્ટર અને મેમ્બ્રેનની કાર્યક્ષમતા ઘટી શકે છે, જે પાણીના શુદ્ધિકરણને અસર કરે છે. તેથી તમારી RO સિસ્ટમ શુદ્ધ પાણી આપી રહી છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. પાણીની ગુણવત્તા તપાસવા માટે સામાન્ય રીતે TDS મીટરનો ઉપયોગ થતો હોવા છતાં તેના વિના પણ શુદ્ધતા ચકાસવાની અન્ય રીતો છે. 1- સ્વાદ અને ગંધ જો RO ના પાણીનો સ્વાદ અચાનક ખૂબ ખારો, કડવો કે ધાતુ જેવો લાગે અથવા તેમાંથી અસામાન્ય ગંધ આવે તો તે ફિલ્ટર અથવા મેમ્બ્રેનમાં સમસ્યા હોવાનો સંકેત હોઈ શકે છે. 2- ગ્લાસમાં પાણીનું નિરીક્ષણ કરો RO નું પાણી સ્વચ્છ અને કોઈપણ અસામાન્ય રંગ વિનાનું હોવું જોઈએ. આ તપાસવા માટે એક પારદર્શક ગ્લાસમાં પાણી ભરો અને તેને થોડા કલાકો માટે રહેવા દો. જો તળિયે કણો કે કચરો જમા થાય, અથવા પાણી ધૂંધળું દેખાય, તો તે ખામી સૂચવી શકે છે. આવા કિસ્સાઓમાં ફિલ્ટરેશન સિસ્ટમની તપાસ કરાવવી હિતાવહ છે. 3- નળના પાણી અને RO પાણીની સરખામણી તમારા RO ફિલ્ટરની સ્થિતિ ચકાસવા માટે એક ગ્લાસમાં નળનું પાણી અને બીજામાં RO નું પાણી ભરો. તેમના દેખાવ, ગંધ અને સ્વાદની સરખામણી કરીને તમે ખામીના પ્રારંભિક સંકેતો જાણી શકો છો. જો લાંબા સમયથી RO પાણીની ગુણવત્તામાં કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો ન હોય તો પણ સિસ્ટમની તપાસ કરાવવી શ્રેષ્ઠ છે. 4- ઉકાળીને તપાસ કરવી તમે પાણીને ઉકાળીને પણ તેની શુદ્ધતા ચકાસી શકો છો. જો ફિલ્ટરમાં કોઈ ખામી હોય તો પાણી ઉકાળ્યા પછી વાસણમાં સફેદ પડ અથવા અવશેષ જોવા મળી શકે છે. આ પાણીમાં રહેલા અમુક ખનિજોને કારણે હોઈ શકે છે. આ પણ વાંચો: ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલ ટેસ્ટી છોલે મસાલા, જાણો શેફ સંજીવ કપૂરની સિક્રેટ રેસીપી 5- 'રિજેક્ટ વોટર' પર ધ્યાન આપો જ્યારે RO સિસ્ટમ દ્વારા પાણી ફિલ્ટર કરવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ પાઇપ દ્વારા 'રિજેક્ટ વોટર' તરીકે બહાર નીકળે છે. જો રિજેક્ટ વોટરનું પ્રમાણ અચાનક સામાન્ય કરતાં ઘણું ઓછું કે વધારે થઈ જાય તો તે પાણીના દબાણ, મેમ્બ્રેન અથવા સિસ્ટમમાં સમસ્યા હોવાનો સંકેત હોઈ શકે છે. આમ આ નાના સંકેતોનું અવલોકન કરીને તમે TDS મીટર વિના પણ પાણીની ગુણવત્તાનો અંદાજ લગાવી શકો છો. ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. જો તમને પાણીની ગુણવત્તા અંગે કોઈ શંકા હોય તો TDS મીટરનો ઉપયોગ કરીને તેની તપાસ ચોક્કસ કરો અથવા કોઈ નિષ્ણાત કે RO સર્વિસ ટેકનિશિયનની સલાહ લો.
Read full article on The Indian Express