top
તંત્રના પાપે ડુમસ નગરવનમાં જીવોની જિંદગી જોખમમાં:શાહમૃગનું કમકમાટીભર્યું મોત, 2 વર્ષમાં બેના મોત; સારવાર અર્થે સરથાણા નેચરલ પાર્કમાં લાવવાયું હતું
સુરતના પર્યટન સ્થળ તરીકે જાણીતા ડુમસ ખાતે વનવિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલું 'નગરવન' હાલ ગંભીર અવ્યવસ્થા અને બેદરકારીને કારણે વિવાદમાં ઘેરાયું છે. પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ વનમાં વન્યજીવોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. છેલ્લા બે વર્ષના ટૂંકા ગાળામાં અહીં બે શાહમૃગ (ઑસ્ટ્રિચ)નાં શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં વનવિભાગની કામગીરી પર માછલાં ધોવાઈ રહ્યાં છે. અપૂરતો સ્ટાફ અને દેખરેખનો અભાવ નગરવન જેવા વિશાળ પરિસર અને તેમાં રહેલા સંવેદનશીલ વન્યજીવોની જાળવણી માટે પૂરતો તાલીમબદ્ધ સ્ટાફ હોવો અનિવાર્ય છે. જોકે ચોંકાવનારી વિગત મુજબ, આટલા મોટા પ્રોજેક્ટની દેખરેખ માત્ર ત્રણથી ચાર કર્મચારીઓના ભરોસે ચાલી રહી છે. વન્યજીવોના આહાર, નિયમિત તબીબી તપાસ અને કુદરતી વાતાવરણ પૂરું પાડવા બાબતે વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. અન્ય જીવોની હાલત પણ ચિંતાજનક માત્ર શાહમૃગ જ નહીં, પરંતુ નગરવનમાં આવેલા એક્વેરિયમમાં રાખવામાં આવેલી માછલીઓ તથા અન્ય પક્ષીઓની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. પાણીની ગુણવત્તા, ટેન્કની સફાઈ અને પૂરતા ઑક્સિજનના અભાવે જળચર જીવો પણ જોખમમાં હોવાનું બહાર આવી રહ્યું છે. શરૂઆતના તબક્કે તત્કાલીન વન રાજ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સુચારુ સંચાલન થતું હોવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. બે દિવસ પહેલા જ્યારે અહીં લાવવામાં આવ્યું હતું: સુપ્રિટેન્ડેન્ટ શાહમૃગના મોતને લઈને સરથાણા નેચરલ પાર્કના સુપ્રિટેન્ડેન્ટ રાજેશભાઈએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા હું રજા પર હતો, ત્યારે આ શાહમૃગને અહીં લાવવામાં આવ્યું હતું એને કંઈ પગમાં ઈજા થઈ હતી અને તે ઘણા સમયથી બીમાર હતું, પરંતુ બે દિવસ પહેલા જ્યારે અહીં લાવવામાં આવ્યું ત્યારે તેને ઉતારતી વખતે કઈ તે મોતને ભેટ્યો હતો એટલી મને જાણ છે. હું રજા પર હતો એટલે વધારે કંઈ ખબર નથી, પરંતુ આરએફઓ સાથે તમે વાત કરી લો. અમે જ્યારે આરએફઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓના દ્વારા ફોન ઉપાડવામાં આવતો નથી.
Read full article on Divya Bhaskar