top
વાસણા પોલીસ સ્ટેશનમાં મહિલાએ પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ:સાબરમતીમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સોની વેપારી કર્ણાટક ગયા હતા
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લગતી 2 અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. વાસણા વિસ્તારમાં મકાન બાંધકામ માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી 53 વર્ષીય મહિલાએ પોતાના પર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. જ્યારે અન્ય એક બનાવમાં સાબરમતી વિસ્તારમાં તસ્કરોએ બંધ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પ્રોટેક્શન માટે દબાણ કરી મહિલાએ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ છાંટ્યું વાસણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ગુપ્તાનગરમાં રહેતી 53 વર્ષીય મહિલાના મકાનના કબ્જા અંગેનો દાવો અદાલતમાં પેન્ડિંગ હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન વાદી અને વકીલ સતત ગેરહાજર રહેતા હોવાથી કોર્ટે દાવો કાઢી નાખવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આ મકાનમાં નવું બાંધકામ કરવા માટે મહિલાએ પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી. જોકે કોર્ટના ચુકાદામાં કબ્જો આપવા બાબતે કોઈ સ્પષ્ટતા ન હોવાથી પોલીસે મહિલા પાસે કાયદેસરના આધાર-પુરાવા માંગ્યા હતા. પુરાવા રજૂ કર્યા વગર જ પોલીસ પ્રોટેક્શન મેળવવા દબાણ કરવાના ઇરાદે 25 ઓગસ્ટના રોજ મહિલા અને તેનો પુત્ર વાસણા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં મહિલાએ પાણીની બોટલમાં લાવેલું પેટ્રોલ પોતાના પર છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ ત્વરિત કાર્યવાહી કરી મહિલાને બચાવી લીધી હતી. વાસણા પીઆઈ આર.એન. પટેલે માતા અને પુત્ર બંને સામે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાબરમતીમાં સોની વેપારી કર્ણાટક ગયા અને તસ્કરોએ તાળું તોડવાનો પ્રયાસ કર્યો શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ શાહ સ્થાનિક વિસ્તારમાં જ્વેલર્સની દુકાન ધરાવે છે. તેઓ પરિવાર સાથે કર્ણાટક ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ જ્યારે તેમણે મોબાઈલ ફોનમાં દુકાનના CCTV કેમેરાનું લાઈવ ફૂટેજ ચેક કર્યું ત્યારે કેમેરાની દિશા બદલાયેલી જોવા મળી હતી. શંકા જતાં તેઓ તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે તસ્કરોએ દુકાનનું મુખ્ય તાળું તોડી અંદર ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વેપારીએ જાણ કરતાં સાબરમતી પોલીસે ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજના આધારે તસ્કરોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar